Abhishek Gondaliya, Amreli: ખેડૂતોને દિવસનાં વીજળી મળી રહે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકી છે. જંગલ વિસ્તારનાં ગામડામાં આ યોજનાનો અમલ કરવાનો હતો. અમરેલી જિલ્લાનાં કેટલાક ગામમાં સૂર્યોદય યોજનાનો અમલ થયો નથી. પરિણામે ખેડૂતોને દિવસે નહી પરંતુ રાત્રીનાં સમયે વીજળી મળી રહી છે. રાત્રીનાં વન્ય પ્રાણીઓનો ભય અને કડકડતી ઠંડીમાં ખેતરમાં પિયત કરવા ખેડૂતો મજબૂર બન્યાં છે. સૂર્યોદય યોજનાનાં અમલ ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
વન્ય પ્રાણીઓનાં ભય વચ્ચે રાત્રે કામ કરવું પડે
સાવરકુંડલા તાલુકાના વડાળ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, શિયાળુ પાકનું વાવેતર કરાયું છે. નિયમિત રીતે ખેડૂતો પિયત કરી રહ્યા છે. ખેડૂતોની સૌથી મોટી મુશ્કેલીએ છે કે, વીજ અધિકારીઓ રાત્રીનાં ગરમ કપડામાં બંધ રૂમમાં હોય છે. ત્યારે ખેડૂતો રાત્રીનાં પાણી વાળવા મજબૂર બન્યાં છે. આસપાસમાં જંગલ છે. જેના કારણે રાત્રીનાં વન્ય પ્રાણીઓનો ભય રહે છે. રાત્રીનાં વન્ય પ્રાણીઓનાં ભય વચ્ચે કામ કરવું પડે છે.
દિવસે વીજળી આપવા માંગ કરી
ખેડૂતોએ ખેતીવાડી વિસ્તારમાં દિવસે વીજળી આપવા માંગ કરી છે. પરંતુ વીજ કંપની દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાત્રીનાં સમયે ખેતરમાં તાપણાં કરીને કામ કરવું પડે છે. વન્ય પ્રાણીઓનો ત્રાસ રહે છે. નીલગાય અને જંગલી ભૂંડનો ત્રાસ રહે છે. તેમજ રાત્રીના પણ નિયમીત વીજ પુરવઠો રહેતો નથી.
ચૂંટણી પૂર્ણ થતાં વીજળી પૂર્તિ અને નિયમિત આવતી નથી
વડાળ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા દિવસે દસ કલાક વીજળી આવતી હતી. હવે રાત્રે અપાય છે અને અનિયમીત વીજળી આવે છે.વીજ કચેરીમાં ફોન કરીએ તો કોઈ જવાબ આપતું નથી. તંત્રે ખેડૂતોની વ્યથા સમજવી જોઈએ. નિયમિત વીજળી આપવી જોઈએ તેમજ ઉદ્યોગોને દિવસે વીજળી સમયસર મળે છે. ખેડૂતોને દિવસે કેમ મળતી નથી? તેઆ સવાલ ખેડૂતોએ ઉઠાવ્યાં હતાં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Farmer in Gujarat, Local 18