વર્ષ 2017ના આંકડાઓ અનુસાર, લાઠી વિધાનસભા મત વિસ્તારની અંદર અંદાજે કુલ 2,09,223 મતદારો છે. આ બેઠક પર કોળી અને લેઉઆ પાટીદારોનું ખાસું પ્રભુત્વ છે
lathi assembly constituency : લાઠી-બાબરા બેઠકની વાત કરીએ તો અગાઉ આ બેઠક બાબરા-વડિયા તરીકે ઓળખાતી હતી. કોળી અને લેઉઆ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસ 7 અને ભાજપ 4 વખત જીત્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) આડે હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિના જ બાકી છે. તમામ પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ઘણા સમય પહેલાથી જ શરુ કરી દેવામાં આવી છે. તેમાં પણ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસાકસી ભરી રહેવાની છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી ચૂકી છે.
આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પરથી ચૂંટણી લડવા જઇ રહી છે. ત્યારે આ ત્રિપાંખીયા જંગનું પરિણામ શું આવશે તે તો સમય જ નક્કી કરશે, પરંતુ વર્તમાન સમયે વિવિધ બેઠક પરથી ટિકિટ મળવાની પ્રબળ ઉમેદવારી કોની છે તે પણ રસપ્રદ રહેશે. આજે અમે તમને આ લેખમાં લાઠી બેઠકના (Lathi assembly seat) રાજકીય અને જાતિવાદી સમીકરણો ઉપરાંત મતદારોના મૂડ વિશે જણાવવા જઇ રહ્યા છે.
લાઠી બેઠકનો ટૂંકમાં ઇતિહાસ
લાઠી-બાબરા બેઠકની (lathi assembly constituency) વાત કરીએ તો અગાઉ આ બેઠક બાબરા-વડિયા તરીકે ઓળખાતી હતી. કોળી અને લેઉઆ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસ 7 અને ભાજપ 4 વખત જીત્યું છે.
આ બેઠક પર બાવકુ ઉંધાડ સૌથી વધુ 5 બેઠક પર જીત્યા હતા. તેમનું નામ આ બેઠક પર સૌથી મહત્વનું ગણાય છે. તે સિવાય વિરજી ઠુંમરનું નામ પણ મહત્વનું ગણવામાં આવે છે.
લાઠી-બાબરા બેઠકનો 20 વર્ષનો ઈતિહાસ જોઇએ તો 2002માં ભાજપમાંથી બાવકુ ઉધાડ, 2007માં કોંગ્રેસમાંથી બાવકુ ઉધાડ તથા 2012માં કોંગ્રેસમાંથી બાવકુ ઉધાડ અને 2017માં કોંગ્રેસના વિરજી ઠુંમર જીત્યા હતા.
લાઠી બેઠક કોંગ્રેસ પાસે હતી અને કોંગ્રેસ પાસે રહી છે. 2012માં સાતમાંથી ચાર બેઠક ભાજપ, એક જીપીપી અને બે કોંગ્રેસ પાસે હતી. 2017માં ચિત્ર તદ્દન ઊલટું થઈ ગયું, જે અમરેલી સંસદીય ક્ષેત્રની જનતાની સત્તા પક્ષ પ્રત્યેની નારાજગી દર્શાવે છે.
કોંગ્રેસમાંથી આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુંમરને ટિકિટ મળી શકે છે. તેઓ આ બેઠક માટે મજબૂત દાવેદાર મનાઇ રહ્યા છે. તેમના સિવાય આ બેઠક પર તેમના પુત્રી અને મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમરનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે. તેઓ સતત બીજી ટર્મમાં લાઠી-બાબરાથી ચૂંટણી જંગમાં ઝુકાવશે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)
ભાજપની જો વાત કરીએ તો બાવકુ ઉધાડનું નામ મોખરે છે. બીજું મહત્વનું નામ છે નિવૃત IPS હરિકૃષ્ણ પટેલનું. હરિકૃષ્ણ પટેલ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થઇને હાલ તેમના લાઠીના હિંગોળા ગામમાં જ વસવાટ કરી રહ્યા છે.
આ બેઠકના ભાજપના સિનિયર આગેવાન ગોપાલ વસ્તાપરાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. ગોપાલ વસ્તાપરા સુરતના ટોચના ઉદ્યોગપતિ છે. આ વિસ્તારના ભાજપના સિનિયર કાર્યકર મયૂર હિરપરાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.
ઉપરાંત સીઆર પાટીલની રજત તુલાના કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવનારા ભાજપના સિનીયર કાર્યકર જનક તળાવીયાનું નામ પણ ચર્ચાય છે, તો સ્થાનિક સ્તરે ભાજપના પાયાના કાર્યકર રામ સાનેપરાને પણ ટિકિટ માટે દાવેદાર ગણવામાં આવે છે.
આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટીની આ બેઠક માટે હજુ પણ ઉમેદવાર શોધી રહી છે. પાર્ટીએ તાજેતરમાં જ સંગઠનનું નવુ માળખું જાહેર કર્યું છે.
લાઠી બેઠક પર મતદારોના સમીકરણો
વર્ષ 2017ના આંકડાઓ અનુસાર, લાઠી વિધાનસભા મત વિસ્તારની અંદર અંદાજે કુલ 2,09,223 મતદારો છે. આ બેઠક પર કોળી અને લેઉઆ પાટીદારોનું ખાસું પ્રભુત્વ છે. 1990થી જો આ બેઠકના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મતદારોની પહેલી પસંદગી પાટીદાર ઉમેદવારો રહ્યા છે.
સતત આ બેઠક પર પાટીદારોએ વિજય મેળવ્યો છે. તેથી આ બેઠક દરેક પક્ષ માટે મહત્વની બને છે. કારણ કે પાટીદારોના મત અને મતદારોને જીતવા ભાજપ માટે થોડા કપરા ચઢાણ હોઇ શકે છે.
શું છે લાઠી તાલુકાના મતદારોની સમસ્યા?
અમરેલી જીલ્લાના લાઠી બાબરા પંથકમાં પાણીનો પોકાર સતત ઉઠતો રહે છે. અહીંના ધારાસભ્યએ કલેક્ટરને પત્ર લખી પાણીનો પ્રશ્ન હલ કરવા બાબતે રજૂઆતો કરવા છતા તેમજ જુદા જુદા ગામોની અલગ અલગ સમસ્યા વર્ણવી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરાઇ છે.
બીજી તરફ લાઠી તાલુકો આજે પણ વિકાસના કામો અને પરીવર્તનથી વંચિત છે. અહીં રોડ-રસ્તા અને પરીવહન જેવી સુવિધાઓ પણ લોકોને મળી રહી નથી. જ્યારે ખેડૂતોમાં વીજળીની માંગ મુખ્ય મુદ્દો છે. સતત જંગલી જાનવરોના ભય વચ્ચે ખેડૂતોને અહીં રાત્રે ખેતરોમાં રહેવા મજબૂર બનવું પડે છે.
લાઠી બેઠક પરના વિવાદો
- ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સચિવાલયના ગેટ નંબર-1 પર કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી. વિધાનસભા સંકુલ બહાર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિરજી ઠુમ્મરે મહિલા પીએસઆઈને ધક્કો માર્યો હતો. જે મામલો મહિલા આયોગમાં પહોંચ્યો હતો.
- કૉંગ્રેસી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે વર્ષ 2022-23ના બજેટને ખેડૂતો માટે નિરાશાજનક હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં કોઇ વર્ગને રાહત આપવામાં નથી. ઉદ્યોગપતિઓને અને મોટા મોટા વેપારીઓને રાહત આપનારું બજેટ છે. ખેડૂતોની 2022માં આવક ડબલ કરવાની વાતો વાહિયાત પુરવાર થઇ રહી છે.
- નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી EDની ઓફિસે પૂછપરછના વિરોધમાં અમદાવાદમાં પણ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરની તબિયત લથડી હતી અને તેઓ ઢળી પડ્યા હતા.
- વિરજી ઠુંમરે વિધાનસભા ગૃહમાં કટાક્ષ કરતા નિવેદન આપ્યું હતું કે ભાજપ સરકાર સતત ટોણાં મારે છે કે કોંગ્રેસ 70 વર્ષમાં કંઈ જ કર્યું નથી, ત્યારે હું કહેવા માગું છું કે આજે તમે જે વિધાનસભામાં બેઠા છો કે વિધાનસભા કોંગ્રેસે બનાવી છે અને જે વિધાનસભામાં બેઠા છો અને જે શાળા કોલેજમાં ભણીને વિધાનસભામાં આવ્યા છો તે શાળા કોલેજ પણ કોંગ્રેસે બનાવી છે, ત્યારે હવે મને એ વાતની પણ બીક લાગી રહી છે કે ક્યાંક આ સરકારમાં વિધાનસભા તો વેચાઈ નહીં જાય ને?