ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પડધમ વાગી ચૂક્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ કદાચ ઈતિહાસમાં સૌથી રસપ્રદ રહેશે. આવુ એટલા માટે કે, દરેક વખતે ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધીઓ તરીકે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામતો હોય છે પણ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યુ છે.
આમ ગુજરાત વિધાનસભા 2022માં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. એવામાં હવે પક્ષોના નેતા અને કાર્યકર્તાઓની એક અથવા બીજા પક્ષમાં જોડાવાની અટકળો પણ તેજ બનશે. મતદારો માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવા માટે તેમના વિશે જાણવુ પણ જરૂરી છે. એવામાં આજે આપણે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ (Congress MLA Amrish dar) ડેરા વિશે ચર્ચા કરીશું.
અમરીશ ડેર ગુજરાત કોંગ્રેસનુ એક જાણીતુ નામ છે. હાલ તે ગુજરાતના કોંગ્રેસ પક્ષ તરફથી અમરેલીના રાજુલાના ધારસભ્ય છે. વર્ષ 2017ની ચૂંટણીમાં તેમનો બહુમતી સાથે રાજુલા બેઠક પર વિજય થયો હતો. અમરીશ ડેરનુ આખુ નામ ડેર અમરીશભાઈ જીવાભાઈ છે. તેમણે જુનાગઢની ડો. સુભાષ વ્યાયામ શાળાથી ડી. પી. એડ. નો અભ્યાસ કર્યો છે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે સંપત્તિ અંગે એફિડેવિટ કર્યું હતું. સૌ પ્રથમ તેમની જંગમ સંપત્તિની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ રૂ.5782232ની જંગમ સંપત્તિ છે. આ જંગમ સંપત્તિમાં હાથ પર રોકડ રૂ. 440266 હોવાનુ જણાવવામાં આવ્યું હતું.
આ સિવાય બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણોની વાત કરીએ તો તે કુલ રૂ. 67,679, રાજુલા નાગરિક બેન્કના રૂ. 1250 ની કિંમતના 125 શેર પણ તેમની પાસે છે. આ સાથે જ એલઆઈસીમાં રૂ. 284950ની થાપણ તેમની પાસે છે. અમરિશ ડેર પાસે રૂ. 650000ની કિંમતની બોલેરો ગાડી, રૂ. 900000 અને 46000ની કિંમતના અન્ય વાહનો પણ છે.
સોનાની વાત કરવામાં આવે તો તેમની પાસે રૂ. 197200ની કિંમતનુ 68.31 ગ્રામ સોનુ અને રૂ. 965624 ની કિંમતના હકદાવા પણ તેમની પાસે છે. તેમની પત્નીની જંગમ સંપત્તિની વાત કરવામાં આવે તો તેમીન પાસે કુલ રૂ. 1779550ની જંગમ સંપત્તિ છે. જેમાં રૂ. 1450000ની કિંમતનુ 500 ગ્રામ સોનુ, 275950ની કિંમતનુ એલઆઈસીમાં રોકાણ સામેલ છે. તેમના બે આશ્રિતો પાસે અનુક્રમે રૂ. 115890 અને 504000ની કિંમતની જંગમ સંપત્તિ છે. આ સાથે જ અમરિશ ડેરની સ્થાવર સંપત્તિની વાત કરવામાં આવે તો તેની કુલ કિંમત રૂ. 80000000 છે. જેમાં મકાન, જમીનો આવાસ અને વારસાગત સંપત્તિનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી વિવાદ થયો હતો. પાટીલે કહ્યું હતું અમરીશ ડેર તો ભાજપના કાર્યકર્તા હતા અને પક્ષ માટે કામ કરી ચૂક્યા છે. પાટીલે કહ્યું હતું કે મારે તો ડેરને એક વખત ખખડાવવાના છે, મારો અધિકાર છે. અમરીશ ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે. જેમ બસમાં આપણે આપણા મિત્રો માટે જગ્યા ખાલી રાખીએ તેમ તેમની માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે.
તેમણે આગળ એમ પણ કહ્યું હતું કે ભાજપની પાર્ટીના ઘણા લોકો ડેરના ખાસ મિત્રો છે. મહત્વનું છે કે અમરીશ ડેરનું ભાજપમાં જોડાવવાની વાતોને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. ત્યારે સી. આર પાટીલના આ નિવેદને બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું હતું. આ સિવાય ભાજપના મંત્રી મુકેશ પટેલ સાથે અમરીશ ડેરની મુલાકાત અને તેમની તસવીરને પગલે આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો હતો.
સીઆર પાટીલના નિવેદનને લઈને અમરીશ ડેરે નિવેદન આપતા કહ્યું કે હા.. મે ભૂતકાળમાં ભાજપ માટે કામ કર્યું હતું પરંતુ હું હાલ જનતાના આશીર્વાદથી કોંગ્રેસમાં ચુટાઈને આવ્યો છું. મારે અહી જ રહેવાનું છે હું ક્યાંય નથી જવાનો. સાથે જ અમીરશ ડેરે એવું પણ કહ્યું કે દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્રતાનો અધિકાર મળ્યો છે.
અમરેલીના રાજુલામાં રેલવેની જમીન મુદ્દે ધરણા કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યો અને રેલ્વે વિભાગની મંત્રણા પડી ભાંગી હતી જેથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
અહી ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે રાજુલામાં રેલવેની પડતર પડેલ જમીનમાં બ્યુટીફીકેશન પાર્ક અને રોડ બનાવવા માટે સોપણી નહીં થતાં અને બેરીકેટ લગાવી દેવાતા જમીન સોંપણી કરાવવા ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા. જોકે, મંત્રણા ભાંગી પડતા પોલીસ દ્વારા અમરીશ ડેરની અટકાયત કરવામાં આવી. રેલવે વિભાગ દ્વારા નગરપાલિકાને વિકાસ કાર્યો માટે જમીનનો કબજો સોંપવામાં ન આવતા બેરીકેટ ઉભા કરવા આવ્યા હતા. જે બાદ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અને અમરીશ ડેર દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યુ હતુ.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ હવે ધમધમાટ શરૂ થયો છે. સોમનાથથી શંખનાદ નામે કોંગ્રેસે વેરાવળમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને સૌરાષ્ટ્રના 21 ધારાસભ્યોમાંથી 19 ધારાસભ્યો જોડાયા હતો. જો કે આ તમામમાં અમરિશ ડેર આ રેલીમાં ગેરહાજર રહ્યા હતા અને તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. તેમના આ પ્રકારે ગેરહાજર રહેવાને લઈને અનેક પ્રકારની અટકળોની શરૂઆત થઈ હતી અને હવે ફરી એકવાર તે ભાજપમાં સામેલ થાય તેવી વાતોને વેગ મળ્યો છે.
કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ તેઓએ રાજુલા કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને રેલવેનાં આંદોલન મુદ્દે ચર્ચા કરી હતી. જોકે આ ફોન બાદ કેજરીવાલે અમરીશ ડેરને AAPમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હોવાની અટકળો વહેતી થઈ હતી. બીજી તરફ અમરીશ ડેરે જણાવ્યું હતું કે મારે આમ આદમી પાર્ટીમાં જોડાવવા અંગે અરવિંદ કેજરીવાલ સાથે વાત થઈ નથી. અમરીશ ડેરે આપમાં જોડાવવાની ઓફર ફગાવ્યાં બાદ કોંગ્રેસ આક્રમક બની હતી. કોંગ્રેસનાં પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ મુદ્દે ગોપાલ ઇટાલિયાની બરાબરની ઝાટકણી કાઢી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections