સાવરકુંડલાનાં વિજપડી ગામનાં ખેડૂત રાણાભાઇ હડિયા હળદરની ખેતી કરે છે. રાણાભાઇ લીલી હળદર તો બજારમાં વેચે છે, સાથે હળદરનો પાવડર બનાવે છે અને તેનું પણ વેચાણ કરે છે. પરિણામે હળદરનાં સારા ભાવ મળી રહી છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેતીમાં લાખોની કમાણી ખેડૂત કરે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના ખેડૂત રાણાભાઈ હડિયા આત્મનિર્ભર ખેડૂત બન્યા છે. અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રાણાભાઇ હડિયાએ ખેતીક્ષેત્રે નવો ચીલો ચાતરીને સફળતા મેળવી છે. પ્રાકૃતિક ખેતી દ્વારા હળદરની ખેતી કરી અને ખેડૂત રાણાભાઈએ સફળતાનો સ્વાદ ચાખ્યો છે.તેમજ હળદરનો પાવડર બનાવી તેનું વેચાણ કરે છે. તેના માટે એક આખુ યુનિટ ઉભુ કર્યુ છે.
એક કિલો હળદરનો 250 થી 300 ભાવ મળ્યો
લીલી હળદરની ખેતી કરતા સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના ખેડૂત રાણાભાઈ હડિયાએ ફક્ત ખેત ઉત્પાદન પૂરતી તેમની કામગીરીઓને સીમિત ન રાખી, જાતે જ સેલમ હળદર દળવાની શરૂઆત કરી છે. સેલમ હળદરની ખેતી અને તેને દળવા સહિતની સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ખેતીમાં રસ હોવાથી માહિતી મેળવતો રહુ છું
રાણાભાઈ હડિયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી લીલી હળદરની ખેતી કરુ છુ, મારે મુખ્ય ખેતીકામ કેળના બગીચા છે, જો કે, મને પ્રગતિશીલ ખેતીમાં રસ હોવાથી હું અવનવી ખેતી વિશે માહિતી મેળવતો રહું છું. ખેતીવિષયક અવનવી બાબતોમાં હું પોતાને અવગત રાખુ છુ. આ દરમિયાન મને રામોદમાં લીલી હળદરની ખેતી કરતા ખેડૂત રાજુભાઈ નાથાણી પાસેથી હળદરની આ ખેતી વિશે જાણવા મળ્યું. તેમનો અભિપ્રાય લીધા બાદ લીલી હળદરની ખેતી કરતા અન્ય ખેડૂતોને પણ હું મળ્યો હતો ત્યારબાદ મેં લીલી હળદરની ખેતી શરુ કરી હતી.
8 વીઘામાં કર્યું હતું હળદરનું વાવેતર
હળદરની ખેતી સંપૂર્ણ પ્રાકૃતિક સજીવ ખેતી કરી છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં વધારો થાય છે. એક વીઘામાં 25 થી 30 મણનું ઉત્પાદન મળે છે. માર્કેટમાં ભાવ સારા મળવાથી 15 લાખનું ઉત્પાદન થયું છે.
બાગાયતી પાક માટે સરકાર સબસીડી આપે છે
નાયબ બાગાયત નિયામકવાળાએ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા બાગાયતી ખેડૂતોને મશીનરીની ખરીદી માટે 75 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ માર્ચ/એપ્રિલ મહિનામાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે અને ત્યારબાદ દસ્તાવેજી વિગતોના આધારે ખેડૂતોને સહાયતા આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના બાગાયતી ખેડૂતો આ વર્ષે આ યોજનામાં લાભ મેળવી શકે છે.