અમરેલી: ચૂંટણી દરમિયાન આચારસંહિત્તાનાં કડક વલણ હેઠળ અમરેલી પોલીસે 15 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી જેમાં શહેર પ્રમુખનો પણ સમાવેશ થયો છે. આ લોકો ભાજપનાં ઉમેદવાર નારણ કાછડિયા વિરુદ્ધની નામ સરનામાં વગરની પત્રિકાઓ ફેરવી રહ્યા હતાં. જે હેઠળ પોલીસે તેમનાં પર વધુ તપાસ હાથ ધરીને કાર્યવાહી કરી છે.
લોકસભા ભાજપનાં ઉમેદવાર નારણ કાછડિયા વિરુદ્ધ બનાવામાં આવેલી પત્રિકા મામલે પોલીસ સ્ટેશનમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુંમર સહિત 15 કોંગ્રેસી કાર્યકરો કાછડિયા વિરોઘી પત્રિકા સાથે ઝડપાયા હતાં. તો આ 15માંથી 3 કાર્યકરો નશા કરેલી હાલતમાં હતાં.
આ આખી ઘટનાની જાણ વિપક્ષ નેતા પરેશ દાનાણીને થતા તેઓ અમરેલી સિટી પોલીસ મથકે પહોંચી ગયા હતાં. આચારસંહિતા ભંગ બદલ અમરેલી ASP પ્રેમસુખ ડેલુએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોલીસે 15 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી 6 વાહન અને 37,900 રૂપિયાની રોકડ જપ્ત કરી છે.
ભાજપનાં નારણ કાછડિયાએ અમરેલી બેઠક વર્ષ 2009 અને 2014 બંને વર્ષ કબજે કરી હતી. તો આ વર્ષે પણ ભાજપે તેમને અમરેલી બેઠક પર રિપિટ કર્યા છે. આ જ બેઠક પર વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે તેમનો જંગ થશે.