Home /News /ambaji /અંબાજીની પરંપરાગત મોહનથાળની પ્રસાદી બંધ કરવાના નિર્ણય સામે ભક્તોમાં ભારે નારાજગી

અંબાજીની પરંપરાગત મોહનથાળની પ્રસાદી બંધ કરવાના નિર્ણય સામે ભક્તોમાં ભારે નારાજગી

અંબાજીનો પરંપરાગત પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે નારાજગી

Ambaji Temple Prasadi: અંબાજી મંદિરનો પરંપરાગત પ્રસાદ મોહનથાળ બંધ કરવાના નિર્ણય સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય ભક્તોની સાથે રાજકારણ સાથે સંકળાયેલા નેતાઓએ પણ આ નિર્ણયને રદ્દ કરવાની માગણી કરી છે.

બનાસકાંઠાઃ અંબાજીની ઓળખ બનેલો તેનો મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના મુદ્દે હવે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. જો મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવશે તો અંબાજી મંદિરની બહાર ધરણા કરવાની અને અંબાજી મંદિર બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. વર્ષો જૂની પરંપરા બનેલા અંબાજી માતાના મંદિરની મોહનથાળની પ્રસાદી ચાલુ રાખવા માટેની માંગ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર હિન્દુ હિત રક્ષક સમિતીની પોસ્ટ વાયરલ થઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ અંબાજીની પરંપરાગત પ્રસાદી ચાલુ રાખવાની વિનંતી કરી છે.

અંબાજી માતાનો મોહનથાળનો પ્રસાદ પાડોશીને કે સગાને ધર્યો હોય તો એવું કહેવાની જરુર રહેતી નથી કે આ અંબાજીની પ્રસાદી છે. કારણ કે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદીનો ટેસ્ટ અને તેની સુગંધીથી જ ભક્તો ઓળખી જાય છે. પરંતુ હવે આ પ્રસાદી બંધ કરવાના નિર્ણયનો ભારે વિરોધ શરુ થઈ ગયો છે. ત્યાં સુધી કે પ્રસાદ બંધ કરવામાં આવે તો અંબાજી મંદિર બંધ કરાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની રજૂઆત


દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ અંબાજીની પરંપરાગત પ્રસાદી મામલે પ્રતિક્રિયા આપી છે. કાંતિ ખરાડી જણાવે છે કે, "માતાજીની પરંપરાગત પ્રસાદી ચાલતી હતી તેને અચાનક બંધ કરવામાં આવી છે અને ચીકીની જે પ્રસાદી શરુ કરી છે તે યોગ્ય નથી. મારું તે વિસ્તારના ધારાસભ્ય તરીકે માનવું છે વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ."


લોકો દ્વારા પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને મોહનથાળની પ્રસાદી ચાલુ રાખવાની માગણી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે હિન્દુ હિત રક્ષક સમિતી દ્વારા તો 48 કલાકમાં પ્રસાદ ચાલુ નહીં કરાય તો ચોક્કસ મુદ્દત સુધી અંબાજી બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.


આ સિવાય અંબાજી ભાજપના લેટરપેડ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે જેમાં અંબાજીનો મોહનથાળનો પ્રસાદ જૂની પરંપરા બન્યો હોવાનું કહીને તેની સાથે અંબાજીની ઓળખ અને મહિમા સંકળાયેલો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે મા અંબાજીના મોહનથાળ પ્રસાદનું પરંપરા પ્રમાણે વિતરણ ચાલુ રાખવા માટે વિનંતી કલેક્ટરને કરવામાં આવી છે. આ સાથે લાખો-કરોડો ભક્તોની પણ આ જ પ્રાર્થના હોવાનું કહેવામાં આવ્યું છે.
First published: