Home /News /ahmedabad /Cow Temple: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ભાટમાં ગાય માતાનું મંદિર બનશે, 1લી નવેમ્બરે ભૂમિપૂજન કરવામાં આવશે
Cow Temple: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ભાટમાં ગાય માતાનું મંદિર બનશે, 1લી નવેમ્બરે ભૂમિપૂજન કરવામાં આવશે
વિશ્વનું પ્રથમ ગાય માતાનું મંદિર અહીં બનશે.
Cow Temple: અમદાવાદ-ગાંધીનગર હાઇવે પરના ભાટ વિસ્તારમાં વિશ્વનું પ્રથમ ગાય માતાનું મંદિર બનાવવામાં આવશે. 1લી નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ મંદિરનું ભૂમિપૂજન કરવવામાં આવે તેવી શક્યતા પણ છે. તો જાણો આ મંદિરની તમામ માહિતી...
અમદાવાદઃ શહેરમાં સૌપ્રથમવાર ગાય માતાનું મંદિર બનશે. ત્યાં સવાર-સાંજ ગાય માતાની આરતી અને પૂજા પણ કરવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આ મંદિરનું નિર્માણ થશે. આગામી 1લી નવેમ્બરના રોજ આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે.
11000 વારમાં 7 માળનું મંદિર હશે
અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા ભાટ વિસ્તારમાં વિશ્વનું પહેલું ગાય માતનું ભવ્યાતિભવ્ય મંદિર બનશે. અહીં 26મી ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ગૌમહોત્સવ ઉજવવામાં આવશે. ત્યારબાદ આ સ્થળે 10 દિવસ યજ્ઞ કરવામાં આવશે. કુલ 11000 વારમાં આ મંદિર બનાવવામાં આવશે. મંદિરમાં કુલ 7 માળ હશે. તેની આજુબાજુ ગાય અને વાછરડાંને મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથે આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવે તેવી શક્યતા છે.
1લી નવેમ્બરના દિવસે ભૂમિપૂજન કરવામાં આવશે.
અનેક જગ્યામાંથી ગુજરાતની પસંદગી
આ મંદિરના ભૂમિપૂજન વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયકક્ષાના મંત્રીઓ સહિત ભારતભરનાં અનેક સાધુ-સંતો હાજર રહેવાના છે. આ અંગે માહિતી આપતા ગૌધામ મહાતીર્થ પથમેડાના સચિવ આલોકસિંહલે જણાવે છે કે, ‘આ મંદિર ભવ્યાતિભવ્ય તો બનશે પરંતુ તેની સાથે વિશ્વનું પહેલું મંદિર હશે. જ્યાં ગૌ માતાની પૂજા કરવામાં આવતી હોય. ગાયમાતાનું મંદિર ભારતમાં બનાવવા અંગેની ચર્ચા ઘણાં સમયથી ચાલી રહી છે. જેમાં રાજસ્થાન, પુષ્કર, દિલ્હી, હિમાલય સહિત અનેક સ્થળોની વિચારણા કરવામાં આવી હતી અને આખરે ગુજરાતની ધરતી પર ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આ મંદિરના નિર્માણ અંગે સ્થળ નક્કી કરવામાં આવ્યું, જયાં યુગો યુગો સુધી લોકો જાણી શકશે કે હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ સમાન ગૌમાતાને શા માટે માનવામાં આવે છે.’
ગૌધામ મહાતીર્થ પથમેડા દ્વારા આ મંદિર બનાવવામાં આવશે. આ મંદિરમાં કુલ 52 જેટલી ગાય અને તેનાં વાછરડાંને રાખવામાં આવશે અને અહીં જ તેમની પૂજા અર્ચના કરવામાં આવશે. આ મંદિરની વિશેષતા એ છે કે મંદિર 7 માળનું છે જેમાં દરેક માળમાં ગાય અને ભગવાન સાથે જોડાયેલી દરેક વાત લોકોને જાણવા મળે. આ માટે દરેક ફ્લોર પર શ્રીકૃષ્ણ સાથે ગાય માતાનો પ્રેમ હોય કે પછી ગાય સાથે જોડાયેલી શિવકથા અથવા બ્રહ્માની વાત હોય તમામ માહિતી દરેક ફ્લોર પર લોકોને જાણવા મળશે. 7 માંથી 6 માળ પર દરેક યુગમાં ગાયમાતા વિશે માહિતી આપતું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. જ્યારે સૌથી નીચે એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાયમાતાને રાખવામાં આવશે.
26 ઓક્ટોબરથી લઈને 4થી નવેમ્બર સુધી ગૌમહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે.
‘આ મંદિર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર હશે’
આ અંગે વધુ જાણકારી આપતા સ્વાગત કમિટીના સદસ્ય કિશનદાસ અગ્રવાલે કહ્યુ હતુ કે, ‘દુનિયા માટે ગાયનું મંદિર આકર્ષણનું કેન્દ્ર એટલે રહેશે. કારણ કે અહીં મંદિરમાં ઈતિહાસને દર્શાવવામાં આવશે. મંદિરનાં ભૂમિપૂજન માટે અનેક લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા વડાપ્રધાનને પણ આમંત્રણ આપાવમાં આવ્યું છે.’ તો વ્યવસ્થાપન કમિટીના સદસ્ય કમલ રાવલના કહેવા પ્રમાણે, 11000 વારની જગ્યા પર મંદિરની સાથે અન્ય સ્થળો પર સપ્ત ગો માતા મંદિર સાથે વિવિધ માહિતી આપતું કેન્દ્ર પણ બનાવાવમાં આવશે
મંદિર બંધાવવા પાછળ કોનો-કોનો ફાળો?
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના સંત ગુરુકાષિણ સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ, વૃંદાવનના મલુકપીઠના જગદગુરુ દ્વારાચાર્ય સ્વામી રાજેન્દ્રાસદેવાચાર્યજી મહારાજ, દિલ્હીના બિજવાસન ગોલોકધામના ધર્મરત્ન સ્વામી ગોપાલશરણદેવાચાર્યજી મહારાજ, ઉડીસા પુરીના પરમહંસ સ્વામી પ્રજ્ઞાનંદજી મહારાજ, મહારાષ્ટ્ર ગોવિનંદદેવગીરીજી મહારાજ, ગુજરાત વડોદરાના પરમ પુજય ગોસ્વામી 108 દ્રારકેશલાલજી મહારાજ, રાજસ્થાનના પથમેડાના ગોવત્સ રાધાકૃષ્ણજી મહારાજ સહિત અને ચિતોડનાં પરમપૂજ્ય ગ્વાલસંત સ્વામી ગોપાલનંદજી મહારાજ દ્વારા આ મંદિર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.