અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં પરિણીતાએ સાસરિયાઓ પર આક્ષેપ કરતા જજની સામે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે કહ્યું હતું કે કોર્ટ કોઇ પગલા નહીં લે તો સાસરિયાઓ તેની હત્યા કરી નાંખશે. હાલ મહિલાને આશ્રય આપવાનાં કોર્ટે આદેશ કર્યા છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે થરાદની પરિણીતા તેનાં બાળકોને લઇને હાઇકોર્ટમાં આવી ગઇ હતી. મહિલાને ધ્રુસકે ધ્રુસકે રડતી જોઇને કાર્યકારી ચીફ જસ્ટિસે આ મહિલાની સમસ્યા અંગે સરકારી વકીલને તેની સમસ્યા જાણવાનું કહ્યું હતું. જેમાં આ મહિલાએ ફરિયાદ કરી હતી કે તેના પતિનું થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જે પછી સાસરિયાઓ તેને અને તેના બાળકોને રોજ માર મારે છે.
આ મહિલાએ તેવી પણ ફરિયાદ કરી કે મિલકતમાં ભાગ ન આપવો પડે તે માટે સાસરિયાઓ આવું કરે છે. મહિલાએ આક્ષેપ પણ કર્યો કે સાસરિયાઓ તેની અને બાળકોની હત્યા પણ કરાવી શકે છે. આ ફરિયાદ સાંભળીને હાઇકોર્ટે મહિલાને શેલ્ટર હોમમાં કે અન્ય જગ્યાએ આશ્રય આપવાનું સુચવ્યું છે. આ ઉપરાંત તેને વિનામૂલ્યે કાનૂની સહાય અને માર્ગદર્શન આપવાની પણ ભલામણ કરી છે. આ અંગે હવે વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાનાં પણ આદેશ આપવામાં આવ્યાં છે.