અમદાવાદઃ ઉત્તરાયણને લઈને હાઇકોર્ટે રાજ્ય સરકારને ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અને તેનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પગલાં લેવા આદેશ આપ્યા હતા. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે તેની ગંભીરતાથી નોંધ લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામું બહાર પાડી સૂચના આપવામાં આવી છે કે, ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા તથા અન્ય નુક્શાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી પિટિશનની 7 જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવી હતી.
જાગૃતિ ફેલાવવાનો આદેશ આપ્યો
ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી લોકો, પશુ- પક્ષી, પર્યાવરણને નુકસાન થાય છે. તે અંગે તથા તેના પર રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન થાય તે માટે લોકજાગૃતિ કેળવવા, સોશિયલ મીડિયા ઉપરાંત પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી ચેનલનો અસરકારક ઉપયોગ કરવો. જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતાં હોય તેવા સ્થળોએ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ LED સ્ક્રિન પર આ બાબતે સમયાંતરે વિઝ્યુઅલથી પ્રસારિત થાય તે માટે વ્યવસ્થા ગોઠવવી. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે આ અંગેના જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવું.
100 નંબર પર જાણ કરો
ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ/સંગ્રહ/ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિક પાસે કોઇ માહિતી ઉપલબ્ધ હોય તો તેની વિગતો આપવા માટે હેલ્પલાઈન ચાલુ કરવી. ઉક્ત દિશાનિર્દેશના સંબંધમાં 9 જાન્યુઆરીએ હાઇકોર્ટ સમક્ષ વિગતો રજૂ કરવાની રહે છે. ત્યારે આ મામલે 100 નંબર પર ફોન કરીને ફરિયાદ રજૂ કરી શકાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.