અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ અવિરતપણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-2020માં શરૂ થયેલું અંગદાન આજે 99એ પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને 8 જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે.
ઉત્તર પ્રદેશની એક વ્યક્તિનું અંગદાન કર્યું
ઉત્તર પ્રદેશના 26 વર્ષીય દિપુભાઈ બચુલાલ ઊંચાઈ પરથી પડવાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમના માથે ગંભીર ઇજા પહોંચવાથી હાલત ગંભીર હતી. ત્યારે 4 દિવસની સઘન સારવાર બાદ 11મી જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ કાઉન્સેલર્સે તેમના પરિવારને અંગદાન કરવા માટે પ્રેરણા આપી હતી. જેને ધ્યાને રાખી પરિવારજનોએ દિપુભાઈની બે કિડની, એક લીવર અને હૃદયનું દાન કર્યું હતું.
અન્ય એક યુવકનું અંગદાન કર્યું
ત્યારબાદ સાબરકાંઠાના અન્ય એક યુવકનું પણ અંગદાન કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠાના 28 વર્ષીય યુવક છાપરા પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને લઈને તેમને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમને 12મી જાન્યુઆરીએ સવારે તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારે પરિવારજનોને સમજાવતા તેમને અંગદાન માટે સંમતિ આપી હતી. જેને લઈને પરિવારે ભરતભાઈની બે કિડની, એક લીવર અને હૃદયનું દાન આપ્યું હતું.
ગરીબોને પણ ટ્રાન્સપ્લાન્ટમાં રાહત
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ સિવિલ મેડિસિટીને વિકસાવવાના જોયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતા અંગદાન બાદ તેમાંથી મળતા અંગોના પ્રત્યારોપણ મેડિસિટી કેમ્પસની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં થતા શક્ય બન્યાં છે. તેને પરિણામે સરકારી હોસ્પિટલમાં થતા પ્રત્યારોપણ નિ:શુલ્ક અથવા તો ખૂબ જ નજીવા દરે થઇ રહ્યા છે. આર્થિક ભીંસને કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્નસમું બની ગયું હતુ, તે આજે પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે.