Home /News /ahmedabad /અમદાવાદ: પત્નીએ કરેલી બેવફાઇનો બદલો લેવા પતિએ સાત વર્ષ પછી પ્રેમી પર કર્યું ફાયરિંગ
અમદાવાદ: પત્નીએ કરેલી બેવફાઇનો બદલો લેવા પતિએ સાત વર્ષ પછી પ્રેમી પર કર્યું ફાયરિંગ
નિકોલમાં ચાર ફૂટ દૂરથી યુવકે પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને ઇજાગ્રસ્ત કરી દીધો હતો
અમદાવાદ: પત્નીનો પ્રેમી પહેલા યુવકનો મિત્ર હતો પરંતુ છેલ્લે બન્નેની દોસ્તીમાં અનૈતિક સંબંધોએ દરાર પાડી દીધી હતી. બદલો લેવા પતિએ સાત વર્ષ પછી પ્રેમી પર કર્યું ફાયરિંગ.
અમદાવાદ: પત્નીએ કરેલી બેવફાઇનો બદલો લેવા માટે સાત વર્ષથી તરફડીયા મારતા પતિએ ગઇકાલે પ્રેમી પર ફાયરિંગ કરીને પોતાના દિલમાં લાગેલી આગ બુઝાઇ છે. નિકોલમાં ચાર ફૂટ દૂરથી યુવકે પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને ઇજાગ્રસ્ત કરી દીધો હતો. પત્નીનો પ્રેમી પહેલા યુવકનો મિત્ર હતો પરંતુ છેલ્લે બન્નેની દોસ્તીમાં અનૈતિક સંબંધોએ દરાર પાડી દીધી હતી.
બન્ને એકબીજાના ગળાડુબ પ્રેમમાં પાગલ થઇ ગયા હતા
નિકોલ વિસ્તારમાં આવેલા સાંઇ હેવનમાં રહેતા અને મૂળ ગાંધીનગર જીલ્લાના પ્રવિણભાઇ પ્રજાપતિએ સુરતમાં રહેતા દિનેશ ડાહ્યાભાઇ આહીર વિરૂદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. પ્રવિણભાઇ ઘરે બેસીને હીરા લે વેચનો ધંધો કરે છે. જ્યારે તેમના પ્રેમ લગ્ન 15 વર્ષ પહેલા અમરેલી જીલ્લાના સાવરકુંડલા ખાતે થયા હતા. પ્રવિણભાઇને 13 વર્ષનો દિકરો છે. પ્રવિણભાઇ પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા તે સમયે દિનેશ આહિર નામના યુવકના સંપર્કમાં તે આવ્યા હતા. દિનેશ આહીર પણ હીરા ઘસવાનું કામ કરતો હતો. જેથી તેણે પ્રવિણભાઇને નિકોલ ખાતે આવેલા ખોડીયાર એપાર્ટમેન્ટમાં મકાન વેચાણ આપાવ્યુ હતું. દિનેશ આહિર પણ ખોડીયાર ફ્લેટ રહેતો હતો. જેથી પ્રવિણભાઇનો સંપર્ક આરોપીની પત્ની સાથે થયો હતો. જોતજોતામાં દિનેશની પત્ની અને પ્રવિણભાઇ વચ્ચે મિત્રતા થઇ હતી અને બાદમાં બન્ને એક બીજાના ગળાડુબ પ્રેમમાં પાગલ થઇ ગયા હતા.
પ્રવિણભાઇના પ્રેમસંબંધની જાણ પ્રવિણભાઈની પત્નીને થતા તેમણે તરત જ દિનેશભાઇને ફોન કરીને તમામ હકીકત કહી દીધી હતી. દિનેશને બન્નેના પ્રેમસંબંધની જાણ થયાના એક વર્ષ સુધી ખોડીયાર એપાર્ટમેન્ટમાં રહ્યા હતા. બાદમાં તે પરિવાર સાથે સુરત રહેવા જતા રહ્યા હતા. છ વર્ષ પહેલા દિનેશ આહિરે જ્યારે મકાન ખાલી કર્યુ ત્યારે તેણે પ્રવિણભાઇને ધમકી આપી હતી કે, મારી પત્ની સાથેના આડાસંબંધ બંધ કરી દેજો. સુરત ગયા બાદ દિનેશે પ્રવિણભાઇને બે વખત ફોન કર્યો હતો. જોકે બન્ને વચ્ચે અનૈતિક સંબંધને લઇને કોઇ ચર્ચા થઇ નહીં.
પીઠ પર ગોળી વાગતાં જમીન પર ઢળી પડ્યાં
ગઇકાલે રાતે પ્રવિણભાઇ જમીને પોતાના ઘર પાસે આવેલા વીસત પાન પાર્લર ખાતે મસાલો ખાવા માટે ગયા હતા. પાર્લર પર પ્રવિણભાઇનો મિત્ર રાહુલ પણ હતો. જેથી બન્ને જણા વાતચીત કરવા લાગ્યા હતા. બન્ને વાતચીતમાં વ્યસ્ત હતા ત્યારે પ્રવિણભાઇને ફાયરિંગનો અવાજ આવ્યો હતો અને તેમની પીઠ પર ગોળી વાગી હતી. પ્રવિણભાઇએ ફરીને જોયું તો દિનેશ ચાર ફૂટ દૂર ઉભો હતો અને તેને રિવોલ્વર વડે ફાયરિંગ કર્યું હતું. ઇજાગ્રસ્ત પ્રવિણભાઇ જમીન પર ઢળી પડ્યા હતા. જ્યારે દિનેશ ત્યાંથી નાસી ગયો હતો. રાહુલ પ્રવિણભાઇને બાઇક પર બેસાડીને હોસ્પિટલમાં લાવ્યો હતો. ફાયરિંગની જાણ નિકોલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નિકોલ પોલીસે પ્રવિણભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે રાતો રાત આરોપીની ધરપકડ કરી લીધી છે.