અમદાવાદ : કોરોનાની મહામારીમાં આખા પરિવાર કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે તેમના માટે જમવાનું શું તેવો સવાલ અમદાવાદના ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાત ફાઉન્ડેશનને આવ્યો હતો. આ પછી તેમના દ્વારા નમો ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. કોરોના દર્દીઓ અને હોમ ક્વોરન્ટાઇન થયેલા છે તેવા લોકો માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી છે. જેમાં બોપલ, થલતેજ, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે. કોરોનાની મહામારીમાં કોરોના પોઝિટિવ દર્દીઓથી લોકો દૂર થઈ જાય છે. તેવા સંજોગોમાં ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાત ફાઉન્ડેશનને સેવા યજ્ઞ શરૂ કર્યો છે. બપોરે અને સાંજે નિઃશુલ્ક ટિફિન પહોંચાડી રહ્યા છે.
ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાત ફાઉન્ડેશનના પ્રમુખ નરેન્દ્ર ભાઈ પુરોહિતે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે કોરોના મહામારીના સમયમાં સમાજ માટે કઈ કરવું આપણી ફરજ છે. ગત વર્ષે પણ લોકડાઉનમાં 6 હજાર શ્રમિકોને પોષ્ટિક ભોજન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાત ફાઉન્ડેશનને પહોચાડ્યું હતું. ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે આખો પરિવાર કોરોના પોઝિટિવ થઈ રહ્યો છે. જેથી જમવાનું બનાવવું મુશ્કેલ બને છે ત્યારે બે દિવસથી નમો ટિફિન સેવા શરૂ કરાઇ છે.
ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાત ફાઉન્ડેશનની ટીમ દ્વારા થલતેજ, બોપલ,મેમનગર, ઘાટલોડિયા, વસ્ત્રાપુર,બોડકદેવ જેવા વિસ્તારમાં 96 જેટલા ટિફિન પહોંચાડવામાં આવી રહ્યા છે. ટિફિન મેળવવા માટે નંબર જાહેર કર્યા છે. તેમજ જે લોકો ટિફિન મંગાવે છે તેને એડ્રેસ વોટ્સએપ કરવાનો રહેશે. અમદાવાદમાં અનેક સંસ્થા કોરોનાની મહામારીમાં આગળ આવી છે અને લોકોની સેવા કરી રહ્યા છે.