અમદાવાદ: આજે રક્ષાબંધન (Raksha Bandhan 2022)નો પવિત્ર તહેવાર છે. દેશભરમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરોમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિર (Lord Jagannath Temple) કે જ્યાં ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન છે ત્યાં રક્ષાબંધનના પવિત્ર તહેવારે ભગવાન જગન્નાથને પણ રાખડી (Rakhi) બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને બહેન સુભદ્રાજી દ્વારા સોનાની રાખડી બાંધવામાં આવી છે. મંત્રોચ્ચાર સાથે રાખડી બાંધવાની વિધિ કરવામાં આવી છે. ભાઈ એટલે કે ભગવાન જગન્નાથ અને બલભદ્રજીએ બહેનને પણ મોંઘી ગિફ્ટ આપી છે. બહેન સુભદ્રાજીને સોનાનો હાર, અને ઝાંઝર ગ્રિફ્ટમાં આપ્યા છે. જોકે, વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે વિધિ કરવામાં આવી છે.
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિન્દુઓનો તહેવાર હોવા છતાં મુસ્લિમ બહેનોએ પણ જગન્નાથ મંદિરમાં મહંત દિલીપદાસજીને રાખડી બાંધી કોમી એકતાનો સંદેશો આપ્યો છે. સાથે જ વિશેષ રાખડી પણ તૈયાર કરવામાં આવી હતી. મુસ્લિમ બહેન દ્વારા ભગવાન જગન્નાથની એક વિશેષ રાખડી તૈયાર કરી અને સાથે જ ભગવત ગીતા પણ મહંત દિલીપદાસજીને ભેટમાં આપી છે.
લોકો કોઈ પણ તહેવારના દિવસે પહેલા મંદિર જાય છે અને ભગવાનના આશીર્વાદ લે છે. આજે રક્ષાબંધનના તહેવારે જગતના નાથ જગન્નાથના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. મહા આરતી પણ કરવામાં આવી. ભક્તોએ આરતીનો લ્હાવો જઈને ધન્યતા અનુભવી હતી.
આજે શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધનનો પવિત્ર તહેવારે છે. શ્રાવણી પૂર્ણિમા બ્રાહ્મણો માટે ઉત્સવનો દિવસ છે. અમદાવાદના sgvpમાં ઋષિકુમારોએ યજ્ઞોપવિત શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ બદલી હતી. 16 સંસ્કારમાંથી એક સંસ્કાર એટલે જનોઈ સંસ્કાર છે. ઋષિકુમારો પોતાના સ્કંધ ઉપર યજ્ઞોપવિત ધારણ કરી ગાયત્રી મંત્ર તથા સૂર્યનારાયણ મંત્ર સિદ્ધ કરતા હોય છે. શરીરની શુદ્ધિ માટે પંચગવ્ય ગોમય, ગૌ મૂત્ર, દૂધ, દહીં, ઘીથી સ્નાન કરી દેહ શુદ્ધિ કરી યજ્ઞોપવિત ધારણ કરે છે.