આત્મહત્યા વખતે આવેલા એક વિચારે તેમનુ સમગ્ર જીવન પલટી નાખ્યુ
પોતાની આગવી પપેટ કળાથી દેશ જ નહીં દુનિયામાં ભારતનો ડંકો વગાડનાર મહિપત કવિને હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. બાળકોને પપેટ દ્વારા કોઈપણ વિષય સહેલાઇથી શીખવી શકાય છે. બાળકને પપેટથી સમજાવવામાં આવે તો બાળક સરળતાથી સમજી શકે છે અને લાંબા સમય સુધી યાદ પણ રાખી શકે છે.
અમદાવાદ: આજના સમયમાં પપેટ શો કળા ધીમે ધીમે ભૂંસાઈ રહી છે. ત્યારે આ પપેટ કળાને જો કોઈએ હાલમાં જીવંત રાખી છે તે છે પદ્મશ્રી મહિપતભાઈ કવિ. આપણામાંથી ઘણા લોકોએ તેમના શો જોયા હશે અને માણ્યા પણ હશે. તો આવો આપણે પણ જાણીએ કે મહિપત કવિની આ સફળતા પાછળ કોનો હાથ હતો, આ પપેટ કળા છે શું.
આત્મહત્યા વખતે આવેલા એક વિચારે તેમનુ સમગ્ર જીવન પલટી નાખ્યું
પોતાની આગવી પપેટ કળાથી દેશ જ નહીં દુનિયામાં ભારતનો ડંકો વગાડનાર મહિપત કવિને હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા મહિપત કવિની પપેટ કળા અને તેમના જીવન સંઘર્ષની અનોખી વાત છે.
હાલમાં તેઓ 92 વર્ષના છે. એક સમયે તેઓ તેમના માઠા દિવસોમાં આત્મહત્યાનો વિચાર પણ કરી ચૂક્યા હતા. ત્યારે તેમને આવેલા એક વિચારે તેમનુ સમગ્ર જીવન પલટી નાખ્યુ. તેમને મળેલી સફળતાની ઉંચાઈએ પદ્મશ્રી એવોર્ડ હાંસલ કરાવ્યો છે.
પપેટીયર પદ્મશ્રી મહિપતભાઈ કવિ સાથે વાત કરતા જણાવ્યું કે એક સમયે ભારતમાં પપેટ કળા આગવી કળા ગણાતી હતી. જેમાં ગુજરાત પાસે કઠપૂતળીની કળા હતી. જે જૈન સાધુ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેમણે જ બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ ગુજરાત પાસે કોઈ કળા રહી નહીં. કુટુંબ અને પરિવારની જવાબદારીનો ભાર મારી ઉપર હતો.
પહેલાં અલગ અલગ જગ્યાએ શો કરવા જતો હતો. પરંતુ ત્યારબાદ શો ન મળતા આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. તેના કપરા સમયમાં એક ફિલ્મ એક્ટર અને લેખકની કવિતા મને યાદ આવી અને આત્મહત્યાનો વિચાર ટાળ્યો. પપેટ કળા હું દર્પણમાં કામ કરતો તે સમયે શીખ્યો. મારા ગુરુ મૃણાલીબેન સારાભાઈ હતા. ત્યાં મને નાટક, સંગીત શીખવા મળ્યું.
સૌથી પહેલા શો ના બદલામાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસેથી 1 રૂપિયો ઉઘરાવીને અમને 140 રૂપિયા ભેગા કરી આપ્યા
દર્પણમાં મેનબેન કોન્ટ્રાક્ટર જે વિદેશથી પપેટ કળા જોઈને અને શીખીને આવ્યા હતા તેમની પાસેથી મને આ કળા શીખવા મળી. પપેટનો સૌથી પહેલો શો મેં બાવળાની એક સ્કૂલમાં કર્યો હતો. જેમાં અમે 8 લોકો સાથે શો કરવા ગયા હતા. બદલામાં શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી 1 રૂપિયો ઉઘરાવીને અમને 140 રૂપિયા ભેગા કરી આપ્યા હતા. તેમાંથી 8 વ્યક્તિને વહેંચ્યાં અને બાકીના મેં રાખ્યા.
વધુમાં જણાવતા કહ્યું કે સમસ્યા એ હતી કે આટલી રકમથી ઘર ચાલે તેમ ન હતું. કારણ કે પપેટ બનાવવા માટે પણ ખૂબ ખર્ચ થતો હતો. કોઈનો સાથ મળ્યો નહીં. જો સાથ મળ્યો હોત તો દુનિયાના પટ પર પપેટ જોવા મળ્યા હોત. અંતે હિંમત હાર્યા વિના પપેટ શો કરવાનું શરૂ કર્યું અને સરકારે તેમની આ કળા બદલ પદ્મશ્રી એવોર્ડથી બિરદાવ્યાં છે.
પપેટ એક એવી વસ્તુ છે કે જેમાં કોઈ પણ વિષય ઉપર પપેટ બનાવી શકાય છે. અત્યાર સુધીમાં અમે 165 જેટલા પપેટ બનાવેલા છે. મેં માત્ર ભારત જ નહીં પરંતુ ફ્રાન્સ, ડેનમાર્ક, ઇટાલી, જર્મની, સ્વિઝરલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ જેવા દેશોમાં રામાયણ અને મહાભારતના પણ પપેટ શો કર્યા છે. આ સંઘર્ષમાં સૌથી મહત્વનો સાથ આપનાર મારી પત્ની હતા. જેમનું 2015 માં અવસાન થયુ હતુ. તેમના વગર હવે હું આ શો કરી શકતો નથી. તેથી હાલ આ પપેટના શો કરવાના બંધ કરી દીધા છે.
બાળકોને પપેટ દ્વારા કોઈપણ વિષય સહેલાઇથી શીખવી શકાય છે. પરંતુ સદનસીબે આપણા દેશમાં આ જોવા મળતુ નથી. શિક્ષક ખૂબ જ મહેનત કરીને બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ જો તે બાળકને પપેટથી સમજાવવામાં આવે તો બાળક સરળતાથી સમજી શકે છે અને લાંબા સમય સુધી યાદ પણ રાખી શકે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.