અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે નેશનલ કેડેટ કોર-એન.સી.સીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 'આત્મનિર્ભર ભારતની યાત્રા, સ્વાવલંબન તરફ...' ના સંદેશ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ‘પૂજ્ય ગાંધીજીની પાવન ભૂમિથી આરંભાયેલી એન.સી.સી. કેડેટ્સની આ સાયકલ રેલી જ્યાં જ્યાંથી પસાર થશે તે પ્રદેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ, અને લોકસેવાનો ભાવ પ્રગટ કરશે.’
PMના આહ્વાનથી આઝાદીનો અમૃત મહોત્સવ
વધુમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ‘ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજે ભારત દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા છે. ભારતનો પ્રત્યેક નાગરિક એકતા, સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમભાવથી પોતાના કર્તવ્યોનું ઈમાનદારીથી પાલન કરશે તો આપણે વધુ તેજ ગતિથી વિકાસ તરફ આગળ વધી શકીશું.’
આત્મનિર્ભર ભારત માટે વ્યક્તિગત યોગદાન આપો: દેવવ્રત
આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવાનું આહ્વાન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ‘પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડત વખતે સ્વદેશી ચળવળ ચલાવી હતી અને નમક સત્યાગ્રહ કર્યો હતો. આ બંનેથી લોકોમાં જોશ અને ઉત્સાહ ઉમેરાયા હતા. આજે આપણી અર્થવ્યવસ્થાને વધુ સમૃદ્ધ કરવી હશે. આપણા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા હશે તો ફરી એક વખત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવા સૌએ આગળ આવવું પડશે. તો આત્મનિર્ભર ભારત માટે આપણે વ્યક્તિગત યોગદાન આપી શકીશું.’
એનસીસીના અતિરિક્ત મહાનિર્દેશક મેજર જનરલ અરવિંદ કપૂરે સાયકલ રેલીની વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારવા માટે સ્વાવલંબનનો સંદેશો રાજ્યના ખૂણેખૂણા સુધી પહોંચાડવા માટે 07મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી, 2023 દરમિયાન સાઇકલ રેલી યોજાશે. 25 યુવા એનસીસી કેડેટ્સ 409 કિલોમીટરની મુસાફરી કરીને દાંડીમાં નમક સત્યાગ્રહ સંગ્રહાલય ખાતે સાઇકલ રેલીનું સમાપન કરશે. અહીં સાઇકલ રેલી મોટરસાઇકલ રેલીમાં વિલય પામશે.