Home /News /ahmedabad /JEE મેઈન્સનું પરિણામ જાહેર: અમદાવાદના બે વિદ્યાર્થીઓના 100માંથી 100 પર્સેન્ટાઇલ
JEE મેઈન્સનું પરિણામ જાહેર: અમદાવાદના બે વિદ્યાર્થીઓના 100માંથી 100 પર્સેન્ટાઇલ
અમદાવાદના બે વિધાર્થીઓએ 100માંથી 100 પર્સેન્ટાઇલ મેળવ્યા
JEE મેઈન્સનું પરિણામ જાહેર: અમદાવાદના બે વિદ્યાર્થીઓના 100માંથી 100 પર્સેન્ટાઇલ આવ્યા છે. બંને વિદ્યાર્થીઓને JEE એડવાન્સની પરીક્ષામાં સ્કોર કરી બોમ્બે IIT માં કમ્પ્યુટર સાયન્સ કરવાનો ગોલ છે.
અમદાવાદ: ધોરણ 12 પછી ડિગ્રી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી JEE મેઈન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ 100માંથી 100 પર્સેન્ટાઇલ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જાન્યુઆરી માસમાં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. બંને વિદ્યાર્થીઓને JEE એડવાન્સની પરીક્ષામાં સ્કોર કરી બોમ્બે IITમાં કમ્પ્યુટર સાયન્સ કરવાનો ગોલ છે.
દેશભરમાં માત્ર 20 વિદ્યાર્થીઓેને આ સફળતા મળી
ધોરણ 12 પછી રાજ્ય અને દેશની શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE મેઈન્સ પ્રથમ તબક્કાની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ એવા છે કે, જેમને 100 પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે. દેશભરમાં માત્ર 20 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ સફળતા મળી છે. જેમાં અમદાવાદના કૌશલ વિજયવર્ગીય અને હરસુલ સુથાર નામના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
મહત્વની વાત એ છે કે, કૌશલ નામના વિદ્યાર્થીએ જેટલા માર્કની પરીક્ષા હતી, એટલા માર્ક મેળવ્યાં છે. કૌશલએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. જ્યારે હર્ષલ સુથારે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની અને દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે JEE મેઇન્સની પરીક્ષા યોજાતી હોય છે. મેન્સ બાદ એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે. જેના થકી વિદ્યાર્થીઓને IIT, NITમાં પ્રવેશ મળે છે.
પરીક્ષા ગુજરાતના 17 શહેરોમાં યોજાઈ હતી
ત્રણ વર્ષથી વર્ષમાં બે વાર JEE મેન્સની પરીક્ષા યોજાય છે. આ બંને પરીક્ષામાંથી જે પરીક્ષાનું સારું પરિણામ હોય એ પરિણામ માન્ય રાખવામાં આવે છે અને એના આધારે એડમિશન મળતું હોય છે. જેઇઇ-મેઇન જાન્યુઆરી સત્રની પરીક્ષા 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે યોજાઇ હતી. JEE-મેઇનસમાં 9.06 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી 8.6 લાખ વિદ્યાર્થીઓએ B.Tech માટે અરજી કરી હતી, દેશના 290 શહેરો અને વિદેશમાં 18 શહેરો સહિત 424 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાઓ યોજાઈ હતી. પરીક્ષા ગુજરાતના 17 શહેરોમાં યોજાઈ હતી.