નવી દિલ્હી: ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (ISRO National Remote Sensing Centre) દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં એક દાયકાની અંદર રાત્રિના સમયની લાઇટ (ISRO NTL Report) માં 43 ટકાનો વધારો થયો છે. News18 સાથે વાત કરતા બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, રાત્રિના સમયે લાઇટ વધવાના ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે, જેમાં સૌભાગ્ય યોજના, ઉજ્જવલા યોજના અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ સામેલ છે. નાઇટ લાઇટનો ઉપયોગ અર્થશાસ્ત્રીઓ દ્વારા વિશ્વભરના પ્રદેશોના આર્થિક વિકાસને ટ્રેક કરવા માટે કરવામાં આવે છે.
સૌભાગ્ય યોજનાએ NTLમાં વધારો કર્યો
રાત્રિના સમયે લાઇટમાં વધારો એ પ્રશ્ન ઊભો કરે છે કે, શું સૌભાગ્ય યોજના હેઠળ 2017 થી ભારતમાં લગભગ ત્રણ કરોડ ઘરોનું વિદ્યુતીકરણ અને 2014 થી લગભગ 50,000 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણે ભારતમાં છેલ્લા દાયકામાં રાત્રિના સમયે લાઇટમાં વધારો કરવામાં ફાળો આપ્યો છે? NRSCના અહેવાલમાં વૈજ્ઞાનિકોએ વર્ષ 2012 થી 2021 દરમિયાન રાષ્ટ્રીય સ્તર અને જિલ્લા સ્તરે પ્રકાશમાં થયેલા ફેરફારો અંગે ઊંડો અભ્યાસ કર્યો છે.
ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) દ્વારા બહાર પાડવામાં આવેલા NTL એટલાસ અનુસાર, કેટલાક રાજ્યોમાં છેલ્લા એક દાયકામાં રાત્રિના સમયે લાઇટમાં 400 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. મુખ્ય રાજ્યોમાં રાત્રિના સમયે લાઇટમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો હતો. બિહાર (8.36% થી 47.97%), ઉત્તર પ્રદેશ (26.96% થી 43.5%), ગુજરાત (20.69% થી 32.68%), મધ્ય પ્રદેશ (8.99% થી 14.95%), મણિપુર, કેરળ અને લાડામાં 2012 માં 17.53% થી વધીને 2021 માં તે 22.96% થઈ ગયો હતો.
યોજનાઓની અસરો
મોદી સરકારે ઓક્ટોબર 2017 માં પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના - 'સૌભાગ્ય' શરૂ કરી હતી, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી વિનાના તમામ ઘરોને અને શહેરી વિસ્તારોમાં તમામ ગરીબ પરિવારોને વીજળી કનેક્શન આપવાનો હતો. સૌભાગ્ય યોજનાની શરૂઆત થઈ ત્યારથી, રાજ્યો દ્વારા 31 માર્ચ, 2021 સુધીમાં દેશના તમામ ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે, જેમાં 2.8 કરોડ પરિવારોનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.
આ દરમિયાન, વર્ષ 2014-15 થી દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું વિક્રમી બાંધકામ ભારતની ઉચ્ચ ચમકનું બીજું કારણ બની શકે છે. ભારતમાં હવે કુલ 63.73 લાખ કિલોમીટર સાથે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું હાઇવે નેટવર્ક છે. જ્યારે ભારતમાં 2014-15માં કુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ 97,830 કિમી હતી, તે હાલમાં લગભગ 1.45 લાખ કિમી છે, જેમાં હવે દરરોજ લગભગ 29 કિમીની ઝડપે હાઈવે બનાવવામાં આવી રહ્યા છે. ડેટા દર્શાવે છે કે વર્ષ 2014માં આ સ્પીડ 12 કિમી/દિવસ હતી.