અમદાવાદઃ આઈપીએલ 2023ની 31મી માર્ચથી શરૂઆત થઈ રહી છે. શું તમે પણ જોવા જવાના છો...? તો જાણી લો કે તમારે કેટલા વહેલા સ્ટેડિયમમાં પહોંચવું પડશે અને સાથે કઈ-કઈ વસ્તુઓ લઈ જઈ શકશો. કારણ કે, પોલીસ અધિકારીઓએ મેચ જોવા આવનારા દરેક લોકોને અપીલ કરી છે.
આગામી 31મીથી IPL 2023નો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. ત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચને લઈ ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ છે. શહેર પોલીસે પણ આઈપીએલની મેચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરી નાંખી છે. તે માટે અલગ અલગ સૂચનાઓ પોલીસ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવી છે.
ઝોન-2ના ડીસીપી સફીન હસન જણાવે છે કે, ‘આગામી 31 માર્ચે આઈપીએલની પ્રથમ મેચને લઈ પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે. જે પ્રેક્ષકોએ મેચ જોવા આવવાનું છે, તેમના માટે બપોરે 3 વાગ્યા સુધીમાં ગેટ ઓપન થઇ જશે. જેથી એડવાન્સમાં આવી પોતાનું સ્થાન મેળવી લે. જેથી અમે દર્શકોનું ચેકિંગ-ફ્રિસ્કીંગ કરીને તમામને અંદર પ્રવેશ આપી શકીએ. સ્ટેડિયમમાં મોબાઈલ અને પર્સ જ લઈને જઈ શકશે બીજી કોઈ પણ વસ્તુ સ્ટેડિયમમાં લઈ જઈ શકાશે નહીં. તેથી લોકોને અપીલ છે કે અન્ય કોઈ વધારાની વસ્તુ લઈને ન આવે.’
પોલીસ અધિકારીઓની અપીલ
જો તમે પણ આગામી 31 તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે જવાના છો તો આ વિગત જાણવી જરૂરી છે. તમારે બપોરે ત્રણ વાગ્યાથી સ્ટેડીયમમાં એન્ટ્રી લેવી પડશે. સાથે જ પ્રેક્ષકોએ તેમની સાથે મોબાઈલ અને માત્ર પર્સ જ સાથે લઇને જઇ શકશે. તે સિવાય કોઈપણ વસ્તુ સાથે નહીં લઈ જઈ શકાય.
આ ઉપરાંત આ વખતે ગુજરાત ટાઇટન્સ દ્વારા અશક્ત દર્શકો, સિનિયર સિટીઝન દર્શક અને દિવ્યાંગ દર્શકનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સિનિયર સિટીજન્સ અને દિવ્યાંગોને સ્ટેડિયમ સુધી લઈ જવા ગોલ્ફ કાર્ટની ગુજરાત ટાઈટન્સ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા ગેટ નંબર 1 અને ગેટ નંબર 2થી જેઓને ચાલવામાં તકલીફ છે. તેમને સ્ટેડિયમની અંદર એન્ટર થવાના ગેટ સુધી ગોલ્ફ કાર્ટ લઈ જશે.