અમદાવાદ: બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. જેના લીધે રોગચાળો વધી રહ્યો છે. સાથે જ હોસ્પિટલની ઓપીડીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉધરસ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, તાવ, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. આવામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એક પત્ર લખી જણાવ્યું છે કે, ચેપ સામાન્ય રીતે પાંચથી સાત દિવસ સુધી રહે છે. તાવ ત્રણ દિવસના અંતે જતો રહે છે, પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.
50 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વધુ અસર
તેમજ ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય વાયરસને કારણે ઓક્ટોબરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન મોસમી શરદી અથવા ઉધરસ થવી સામાન્ય છે. મોટાભાગે તે 50 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળે છે. લોકોને તાવની સાથે ઉપલા શ્વસન માર્ગમાં ચેપ લાગે છે. ત્યારે માત્ર લક્ષણોની સારવાર આપો, એન્ટિબાયોટિક્સ આપવાની જરૂર નથી.
પરંતુ અત્યારે લોકો Azithromycin અને Amoxiclav વગેરે જેવા એન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરે છે. કેટલા ડોઝ લેવા તેની પરવા કર્યા વિના જ દવા લે છે અને સારું થતાં બંધ કરી દે છે, ત્યારે આ સ્થિતિને રોકવાની જરૂર છે. એન્ટિબાયોટિક જરૂર હોય ત્યારે લેવી જોઈએ. નહીંતર સ્વાસ્થ્ય માટે ખરેખર જરૂર હશે ત્યારે અસર નહીં કરે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, એન્ટિબાયોટિક્સ સૂચવતા પહેલા ચેપ બેક્ટેરિયલ છે કે નહીં, તેનું નિદાન કરવું જરૂરી છે. વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે તકેદારી રાખવા અપીલ કરી છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના મીડિયા કો-ઓડિનેટર ડોકટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું છે કે, વાયરલ કેસમાં 40 ટકાનો વધારો થયો છે. એન્ટિબાયોટિક્સનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે. તેને ટાળવો જોઈએ.