Home /News /ahmedabad /GTUની 270 કૉલેજો સામે 'નો એડમિશન ઝોન'ની લટકતી તલવાર, જાણો શું છે મામલો
GTUની 270 કૉલેજો સામે 'નો એડમિશન ઝોન'ની લટકતી તલવાર, જાણો શું છે મામલો
ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (ફાઇલ તસવીર)
GTU Admission: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન 427 કોલેજો પાસેથી 'સેલ્ફ ડીસ્ક્લોઝ્ડ' મંગાવવામાં આવ્યું છે. સેલ્ફ ડીસ્ક્લોઝ્ડનાં માધ્યમથી 270 કોલેજોમાં જુદા જુદા પ્રકારની ખામીઓ સામે આવી છે.
અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હસ્તકની 270 કોલેજ સામે 'નો એડમિશન ઝોન'ની તલવાર લટકી રહી છે. કારણ કે GTU દ્વારા 427 કોલેજોનું ઇન્સ્પેકશન હાથ ધરાયું છે. જેમાંથી 270 કોલેજોમાં જુદા જુદા પ્રકારની અછત જણાતા આ અછત તાત્કાલિક પૂરી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. ઇન્સ્પેક્શનમાં કોલેજોમાં પ્રિન્સિપાલ, અધ્યાપક, લેબની સુવિધામાં ખામી ધ્યાને આવી છે. જો આ ખામી દૂર કરવામાં ન આવે તો કોલેજોને 'નો એડમિશન ઝો'નમાં મૂકવાની તૈયારી GTU એ કરી છે. મહત્ત્વનું છે કે પાછલા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ એન્જીનિયરિંગ કોલેજો ફૂટી નીકળી છે. જોકે, આ કોલજોમાં ક્વોલિટી એજ્યુકેશન જળવાતું નથી. રાજ્યની એન્જીનિયરિંગ કોલેજોમાં પ્રિન્સિપાલથી લઇને અધ્યાપક, સ્ટાફ, લેબોરેટરી અને સુવીધાઓનો અભાવ છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન 427 કોલેજો પાસેથી 'સેલ્ફ ડીસ્ક્લોઝ્ડ' મંગાવવામાં આવ્યું છે. સેલ્ફ ડીસ્ક્લોઝ્ડનાં માધ્યમથી 270 કોલેજોમાં જુદા જુદા પ્રકારની ખામીઓ સામે આવી છે. GTUની આ 270 એટલે કે 63% કોલેજોમાં ખામીઓ સામે આવી છે. જેમાં GTU હસ્તકની કેટલીક કોલેજમાં પ્રિન્સિપલ નથી, તો કેટલીક કોલેજોમાં અધ્યાપકની ઘટ છે, તેમજ અનેક કોલેજોની લેબમાં પણ ખામી હોવાનું સામે આવ્યું છે. જે મામલે GTUની ડીન કમિટી દ્વારા કોલેજોને ખામીઓ દૂર કરવા માટે તાકીદ કરાઈ છે.
આ અંગે યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠે કહ્યું કે, જે પણ કોલેજમાં આવી ખામીઓ સતત હશે, તો આવી કોલેજોને 'નો એડમિશન ઝોન'માં મૂકવામાં આવશે. જો સામાન્ય ખામી હશે, જે વિભાગમાં અધ્યાપકો ઓછા હશે, તો એ વિભાગની 25% થી 50% બેઠકો ઘટાડવામાં આવશે. એટલું જ નહીં કોલેજો આ ખામીઓ નહીં સુધારે તો 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કોલેજોને ફટકારવામાં આવશે.
મહત્ત્વનું છે કે પાછલા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ એન્જીનિયરિંગ કોલેજો ફૂટી નીકળી છે. જોકે, આ કોલજોમાં ક્વોલિટી એજ્યુકેશન જળવાતું નથી. કોલેજોમાં કોઈને કોઈ ખામી સામે આવી રહી છે. પરંતુ એજ્યુકેશન બાબતે કોલેજોમાં ચાલતી આ લાલીયાવાડી હવે GTU ચલાવી લેવા માંગતી નથી. રાજ્યની એન્જીનિયરિંગ કોલેજોમાં પ્રિન્સિપાલથી લઇને અધ્યાપક, સ્ટાફ, લેબોરેટરી અને સુવીધાઓનો અભાવ છે ત્યારે નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જીટીયુએ તમામ કોલેજોને તાકીદ કરી છે. અને ઝડપથી ખામીઓ દૂર કરવા આદેશ કર્યો છે.