અમદાવાદ : વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) ૧૨૫ બેઠક જીતવાના સંકલ્પ સાથે એ.આઈ.સી.સી.ના વિશેષ નીરીક્ષક ટી.એસ. સિંહ દેવ અને મિલિન્દ દેવરાજીની ઉપસ્થિતીમાં એ.આઈ.સી.સી.ના લોકસભા પ્રભારી સાથે બેઠક કોંગ્રેસ (Gujarat Congress) કાર્યલાય ખાતે મળી હતી. ૨૦૨૨ ચૂંટણીમાં જનતાના અવાજ સાથે જનતાના મુદ્દાઓને લઈ જનભાગીદારીથી વિધાનસભા માટેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે. વિધાનસભા બેઠક દિઠ અને પ્રદેશ કક્ષાએ કોમન ચૂંટણી ઢંઢેરો તૈયાર કરાશે.
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૨૫ બેઠકના વિજય સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નીરીક્ષક અને છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મીલીન્દ દેવરાજી આગેવાનીમાં AICC દ્વારા નિમાયેલ તમામ લોકસભા નીરીક્ષકો સાથે સંવાદ બેઠક યોજી હતી.
છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ. સિંહ દેવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સારૂ કામ કરતી હશે તેવુ હું માનતો હતો. પરંતુ મહાત્મા ગાંધી - સરદારના ગુજરાતમાં બેફામ દારૂ વેચાય, ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાય, ૧૪ થી વધુ વખત પેપર ફુટે, એકજ જીલ્લામાં ૨૫૦૦૦ થી વધુ ગાયોનું મૃત્યુ થાય વગેરે સહિતની વિગતોથી ભાજપ મોડલની નિષ્ફળતા ઉજાગર થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસ જીવંત, મજબુત અને બળવાન છે. આવનારા દિવસોમાં કેવું ગુજરાત બનાવવા માંગીએ છીએ એ વાતને લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈશું. અમારો ચૂંટણી ઢંઢેરો નવા ગુજરાતનો આધાર હશે. રાષ્ટ્રીય સમસ્યા મોંઘવારી, બેરોજગારી સહિત ગુજરાતમાં ડ્રગ્સ - દારૂના મોટા પાયે વેપલા સહિતની નિષ્ફળતાને ઉજાગર કોંગ્રેસ કરશે.
કોંગ્રેસ સંગઠન પ્રભારી અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ૧૨૫થી વધુ બેઠકો સાથે આગામી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી જીતશે. ગુજરાતમાં શહેરી વિસ્તારો માટે વિશેષ પ્લાનીંગ કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષ દ્વારા જનજનને સાંકળીને ૨૦૦૦થી વધુ બેઠકો યોજી ચૂંટણી ઢંઢેરો - સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ચારેય ઝોનમાં કોંગ્રેસની જનસરકાર લાવવામાં આવશે. તેવો નિર્ધાર કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક વિધાનસભાની સમસ્યાઓને સાંકળીને, જનતાના મુદ્દાને સાંકળીને, વિધાનસભા દીઠ ચૂંટણી ઢંઢેરા જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં હરીફાઈ માત્રને માત્ર ભાજપ - કોંગ્રેસ વચ્ચે છે. બાકીની તમામ પાર્ટીઓ ભાજપની બીટીમ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય, ગાયોની હત્યા થાય, મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ અંગે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમ યોજશે. નોર્થ, સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર અને સાઉથ એમ ચારેય ઝોનમાં ‘મારું બુથ મારું ગૌરવ’ કાર્યક્રમ અંતર્ગત બુથ મેનેજમેન્ટનું માઈક્રોપ્લાનીંગ કરવામાં આવશે. ગુજરાતના ચારેય ઝોનમાં મોંઘવારી, બેરોજગારી, દારૂ-ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર, મોંઘુ શિક્ષણ, કથળતુ આરોગ્યતંત્ર અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે યાત્રા શરૂ કરવામાં આવશે.
AICC દ્વારા નિમાયેલ લોકસભા નીરીક્ષકઓ, તમામ જીલ્લા પ્રમુખઓ, પ્રદેશ લોકસભા નીરીક્ષકઓ, વિધાનસભા પ્રદેશ નીરીક્ષકઓ અને સ્થાનિક ધારાસભ્યો સાથે બુથ મેનેજમેન્ટ, મેનીફેસ્ટ્રો, કેમ્પેઈન, આંદોલનાત્મક કાર્યક્રમો સહિતના મુદ્દે ઝોન દીઠ વિશેષ મેરથોન બેઠક યોજાઈ હતી. નિમાયેલા સીનીયર નીરીક્ષકો આજથી પોતાના વિસ્તારમાં જશે. ૧૦થી ૧૫ દિવસ બાદ ફરી રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ત્રીસ વર્ષથી વધુ વિદેશમાં રહેનાર બેરીસ્ટર એવા ભારૂલત્તા કાંબલે અને સુરતના નામાંકિત ન્યુરો સર્જન એવા ડૉ. સુબોધ કાંબલે આજરોજ કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને પક્ષમાં જોડાયા હતા. જેઓને કોંગ્રેસના સિનિયર નેતાઓ ખેસ પહેરાવ્યો હતો.