Home /News /ahmedabad /Gujarat Assembly Election: કોંગ્રેસ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કાઢશે, ચાર ઝોનમાં પાંચ સ્થળેથી શરૂઆત
Gujarat Assembly Election: કોંગ્રેસ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કાઢશે, ચાર ઝોનમાં પાંચ સ્થળેથી શરૂઆત
ફાઇલ તસવીર
Gujarat Assembly Election: એકબાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ હવે સફાળી જાગી છે અને પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે.
અમદાવાદઃ મિશન 2022માં 125 બેઠકના લક્ષ્યાંક સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરવાની છે. કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનસંપર્ક અને પ્રજા સુધી વાત પહોંચાડવા માટે 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધી નિર્વાણ દિવસે પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે. ચાર ઝોનમાં અલગ અલગ પાંચ સ્થળેથી આ યાત્રા કાઢવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રામાં ગુજરાતની 182 વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન ગુજરાતના 4.5 કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક કરવામાં આવશે. સમગ્ર યાત્રામાં 145 જાહેર સભા, 35 સ્વાગત પોઇન્ટ, 95 રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાપક જનસંપર્ક માટેની પરિવર્તન સંકલ્પ યાત્રા કુલ 5432 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. તેમાં કોંગ્રેસના દસ લાખથી વધુ કાર્યકરો જોડાશે અને 11 વચનોનો યાત્રા દરમિયાન વ્યાપક પ્રચાર કરવામાં આવશે.
એકબાજુ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ હવે કોંગ્રેસ ઊંઘમાંથી જાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2017માં ચૂંટણી પ્રચારની કમાન રાહુલ ગાંધીએ સંભાળી હતી. ત્યારે રાહુલ ગાંધીએ ચાર ઝોનમાં અલગ-અલગ યાત્રા કાઢી પ્રચાર કર્યો હતો. ફરી એકવાર કોંગ્રેસ યાત્રા દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.
ભાજપ પર આકરા પ્રહાર કર્યા
કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, ‘છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમાજના તમામ વર્ગો પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીના નાગરિકોનું જીવન અસહ્ય બન્યું છે. દિન-પ્રતિદિન આવશ્યક ચીજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો, કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની ખાડે પડેલી પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા આ કુશાસનથી મુક્તિ મેળવવા કોંગ્રેસને વિજયતિલક કરવા થનગની રહી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ચોમેરથી પ્રજામાં કોંગ્રેસની આ પરિવર્તન સંકલ્પ યાત્રા માટેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.’