અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ છવાઈ ગયો છે. ભાજપના આખાય ચૂંટણી પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાન આમ તો આઠ મહિના પહેલાં કરી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જીત પછી શરૂ કરી દીધું હતું. ત્રણ રાજ્યોમાં મળેલી જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા જ દિવસે ગુજરાત પહોંચ્યા હતા અને તેમનું ઐતિહાસિક અભિનંદન સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ સુધી રોડ-શો યોજીને મિશન ગુજરાતની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સક્રિય થયા હતા. વડાપ્રધાને અમદાવાદમાં રોડ-શો યોજીને પ્રચારનું સમાપન કર્યુ હતુ. આ રોડ શોમાં નગરદેવી માતા ભદ્રકાળીના મંદિરમાં જઈને પૂજા-અર્ચના સાથે જીતના આશિર્વાદ લીધા હતા.
60 દિવસમાં 61 કાર્યક્રમનું આયોજન
પીએમ મોદીએ ગુજરાત ચૂંટણી પહેલાં જ ચર્ચાઓનું કેન્દ્ર બન્યા છે. તેનું સૌથી મોટું કારણ છે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સક્રિયતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિનામાં 61 કાર્યક્રમોમાં હાજરી આપી હતી, તેમાં ઓનલાઇન અને ઓફલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સરકારી અને પાર્ટી સાથે જોડાયેલા કાર્યક્રમમાં પણ તેમણે હાજરી આપી હતી. ત્યારે સમગ્ર ગુજરાત ફરી એકવાર મોદીમય બની ગયું હતું. 30 ઓક્ટોબરે જ્યારે મોરબી બ્રિજની દુર્ઘટના બની ત્યારે વડાપ્રધાને આગામી તમામ કાર્યક્રમો રદ્દ કર્યા નહોતા. આ દરમિયાન અમદાવાદનો એકમાત્ર રોડ-શો જ રદ્દ કરવામાં આવ્યો હતો. બાકી બધા જ કાર્યક્રમ યથાવત્ રાખ્યા હતા અને દરેક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમો પૂરા કરીને વડાપ્રધાન મોરબી પહોંચ્યા હતા અને ત્યાંની પરિસ્થિતિ જાણી હતી. પીડિતો સાથે મુલાકાત કરી આદેશ આપ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીની ખૂબ ટીકા કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાથી માંડીને કોંગ્રેસ અને આપે વડાપ્રધાન પર નિશાનો સાધ્યો હતો, પરંતુ વડાપ્રધાને તેને કર્તવ્ય સાથે જોડીને વાત ટાળી દીધી હતી. તેની અસર એવી થઈ કે આ દુર્ઘટના બાદ પણ મોદી લોકોના જનમાનસમાં છવાયેલા રહ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ભાજપની સાતમી જીત પાક્કી કરવા માટે પ્રચંડ પ્રચાર કર્યો છે. વડાપ્રધાને 6ઠ્ઠી નવેમ્બરે વલસાડથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ત્યારબાદ 2 ડિસેમ્બર સુધી કુલ 38 જનસભાને સંબોધન કર્યુ હતુ. મોદીએ આ દરમિયાન ચાર મોટા રોડ-શો પણ કર્યા હતા. તેમાં સુરત અને અમદાવાદના મોટા રોડ-શો સામેલ હતા. વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં સતત બે દિવસમાં બે મોટા રોડ-શો કર્યા હતા. તેમાં 32 કિલોમીટરનો સૌથી મોટો રોડ-શો પણ સામેલ છે. વડાપ્રધાને આ રોડ શોથી 14 વિધાનસભા બેઠક કવર કરી હતી. બીજા દિવસે અન્ય ત્રણ વિધાનસભા વિસ્તારને કવર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અંદાજે 100 જેટલી વિધાનસભા બેઠક કવર કરી હતી. રાજકોટ, વડોદરા અને વલસાડ-સુરતમાં વડાપ્રધાનના મોટાભાગના કાર્યક્રમ થયા હતા.
27 વર્ષની એન્ટિ-ઇન્કમબન્સી પછી પ્રદેશમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી ખૂબ ફાયદો થયો છે. મીડિયામાં નેગેટિવ કવરેજની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલા રહ્યા. તેનો સરકાર અને સંગઠન બંનેને સારો ફાયદો થયો. મોરબીની મોટી દુર્ઘટના પણ વડાપ્રધાનની સક્રિયતા અને પાર્ટીને મોટી સંકટમાંથી બહાર કાઢી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરાને કારણે મીડિયામાં કવરેજન ન મળી શક્યું. નરેન્દ્ર મોદીએ ગુજરાત વિકાસ અને આતંકવાદની આસપાસ જ ચૂંટણી અભિયાનને કેન્દ્રિત કર્યુ હતુ. આખરી સમયે પણ કોંગ્રેસ તરફથી આવેલા ફૂલટોસ બોલનો વડાપ્રધાને ફાયદો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસ મને નફરત કરે છે. તેથી કોંગ્રેસના નેતાઓ મને અપશબ્દ કહે છે.’ ત્યારપછી તેમણે આ મુદ્દો અપમાન સાથે જોડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ સહિત આ ગુજરાત અમે બનાવ્યું છેથી માંડીને જી-20 સુધીની અધ્યક્ષતા પણ ભારતને મળવાની વાતનો તેમણે ભાષણમાં ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓથી માંડીને રોડશોમાં મહિલાઓની હાજરી ખાસ્સી જોવા મળી હતી.