ગુજરાતમાં કેટલાક વિરોધાભાસો ગળે ઉતરે એવા નથી. આ વિરોધાભારોમાં એક એટલે મધ્યાહન ભોજનની વ્યવસ્થા સાથે જોડાયેલાકર્મચારીઓ. લાખો બાળકોને કુપોષણથી બહાર લાવવામાં જેમની મહત્વની ભૂમિકા છે, તેવાં ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓનું યોગ્ય પગાર આપી તેમના પરિવારોનું પોષણ કરવાને બદલે સરકાર જ તેમનું ‘શોષણ’ કરે છે. આ મુદ્દાને લઇને આજે વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળીને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યુ હતું.
જિગ્નેશ મેવાણીએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, કહેવાતા ગુજરાત મોડેલમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓને લઘુત્તમ વેતન પણ મળતુ નથી. જો લોકો બાળકોનું પોષણ કરે છે એનું જ સરકાર દ્વારા શોષણ થાય છે. અમારી માંગ છે કે, આ તમામ કર્મચારીઓને લધુત્તમ વેતન આપવામાં આવે. ગુજરાતમાં અંદાજે એક લાખ જેટલા મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ, સંચાલક- મદદનીશ- રસોઈયા તરીકે પોતાની અમુલ્ય સેવાઓ આપી રહ્યા છે. ૧૯૮૪થી શરુ થયેલી મધ્યાહ્ન ભોજનની આ યોજનાનો આશય ગુજરાતના બાળકોનું કુપોષણ દુર કરી તેઓને સરકારી શિક્ષણ તરફ વાળવાનો છે. કુપોષણને નાથવાના આ સરકારી કાર્યક્રમમાં મધ્યાહ્ન ભોજનના જે કર્મચારીઓ, સંચાલક- મદદનીશ- રસોઈયા પોતાની સેવાઓ આપી રહ્યા છે તેમનું પોતાનું દાયકાઓથી ભયંકર શોષણ થઇ રહ્યું છે તેમજ તેમના મજુર અધિકારોનું પણ છડે ચોક હનન થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણ કેટેગરીના કર્મચારીઓ જો પોતાની સેવાઓ ન બજાવે તો મધ્યાહ્ન ભોજનનો આખો કાર્યક્રમ પડી ભાંગે”.
મેવાણીએ વધુમાં જણાવ્યુ કે, આજની સ્થિતિએ આ કર્મચારીઓ સવારના અંદાજે ૯.૩૦ વાગ્યે થી બપોરના ૨.૩૦ વાગ્યા સુધી એમ દરરોજ ૫ થી ૭ કલાક પોતાની સેવાઓ આપે છે પરંતુ તેના બદલામાં આ કર્મચારીઓને રોજના માત્ર ૫૩.૦૦ રૂપિયાના હિસાબે માસિક ફક્ત ૧૬૦૦ રૂપીયાનું ચુકવણું થાય છે. આજની કાળજાળ મોંઘવારીમાં માસિક માત્ર ૧૬૦૦ રૂપિયામાં કોઇપણ કર્મચારીને ૫ થી ૭ કલાક કામ કરવાની ફરજ પાડવી અને તેમને લઘુતમ વેતન પણ નહી ચુકવવું તે ગેરબંધારણીય જ નહી પરંતુ અમાનવીય પણ છે.”
મેવાણીએ એમ પણ માહિતી આપી કે, મધ્યાહ્ન ભોજનનાં કર્મચારીઓને માર્ચ- એપ્રિલ મહિનાની સેવાઓનું ચુકવણું પણ કરવામાં આવ્યું નથી. સરકાર સામે કેટલાક જિલ્લાઓમાં કર્મચારીઓ હડતાલ પર ગયા છે.”
મેવાણીએ કહ્યુ કે, શિક્ષણમંત્રીએ એમ કહ્યુ કે, આ મુદ્દે ન્યાયાધિન છે એટલે આ મુદ્દે વિશેષ ટિપ્પણી કરી શકાય નહીં’
મેવાણીએ શું શું માંગણીઓ મૂકી ?:
૧) ગુજરાતના તમામ મધ્યાહ્ન ભોજનનાં કર્મચારીઓના કામના કલાકો નિયત કરી પુરા પગારે કાયમી કરવામાં આવે ૨) દરેક મધ્યાહ્ન ભોજન કેન્દ્રમાં બાળકોને કેટલો આહાર આપવો તેનું અમલીકરણ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવું
૩) લઘુતમ વેતન ધારાની જોગવાઈ પ્રમાણે, કોઈપણ કર્મચારી કે કામદાર ૪ કલાક કે તેથી વધુ સમય સેવાઓ બજાવે તો ખાનગી કે સરકારી માલિક લઘુતમ વેતન મુજબ પગાર ચુકવવા બંધાયેલ હોઈ અમો સહુ કર્મચારીઓને પુરા પગારે કાયમી કરવાનો આખરી નિર્ણય થાય ત્યાં સુધી લઘુતમ વેતન ચુકવવામાં આવે તેમજ PF/ ગ્રેજ્યુઈટી/ હક રજા સહીતના સરકારી લાભ આપવામાં આવે
૪) કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સથી વિપરીત બાળકોને ભોજનની સાથે સાથે સરકારશ્રી નાસ્તાની વ્યવસ્થા પણ ચાલુ રાખવા ઇચ્છતી હોય તો અલગથી જથ્થો અને નાણાકીય મદદ આપવાની રાજ્ય સરકાર જોગવાઈ કરે.