ગીતા મહેતા, વડોદરા : વડોદરામાં 17 ઈંચ વરસાદને કારણે આખું શહેર જળબંબાકાર થઇ ગયું છે. અનેક વિસ્તારોમાં લોકો ફસાયા છે, અનેકનાં ઘરોમાં પાણી ભરાયા છે. રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમએ વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ તેમણે પત્રકારોને સંબોધ્યાં હતાં.
સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે,'આજવાનાં ઉપરવાસ જેવાકે હાલોલ, કાલોલમાં આશરે 5 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે આજવામાં ઘણું પાણી આવ્યું છે. આજવાનું પાણી ઓવરફ્લો થઇને વિશ્વામિત્રી નદીમાં જઇ રહ્યું છે. નદીનું પાણી શહેરમાં ભરાઇ રહ્યું છે. જેના કારણે સમા વિસ્તારમાં ઘણી અસર થઇ છે. સદનસીબે હાલ ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે જો ચારથી પાંચ કલાક વરસાદ બંધ રહેશે તો પાણીનાં લેવલ નીચા આવી જશે. '
સીએમ વિજય રૂપાણીએ અનુરોધ કર્યો કે, 'વડોદરા શહેરનાં કુલ 292 વીજ ફિડર પૈકી 48 ફિડર વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરન્ટ ન લાગે તે માટે કે અન્ય કોઇ રીતે નાગરિકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે સલામતીનાં કારણોસર બંધ કરવામાં આવ્યા છે. જેના પરિણામે વીજ પુરવઠાને અસર પહોંચી છે. વરસાદી પાણી ઓસરતા જ તરત જ આ વીજ ફિડરો પહેલાની જેમ ચાલુ કરી દેવાશે અને વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે. આ ફિડરો બંધ કરવાને કારણે વડોદરાના ઈંદ્રપુરી, સરદાર એસ્ટેટ, કારેલી બાગ, માંડવી, પાણીગેટ, દાંડિયા બજાર, રાવપુરા ટાવર, હરિનગર, ગોત્રી અને સમા વિસ્તારમાં અસર પહોંચી છે. વડોદરાનાં સૌ નગર જનોને આ સ્થિતિ ધ્યાને લઇ સ્થાનિક તંત્રને સહકાર આપવા મુખ્યમંત્રી એ અનુરોધ કર્યો છે.'
પુનાથી NDRFની ટીમ એરલિફ્ટ કરાશે
સીએમ રૂપાણીએ પરિસ્થિતિનો તાગ આપતા કહ્યું કે, વડોદરામાં વરસાદી સ્થિતિમાં બચાવ રાહત કામો માટે એનડીઆરએફની 5 વધારે ટીમ પૂનાથી એરલિફ્ટ કરીને પહોંચડવામાં આવી રહી છે. અત્યારે વડોદરામાં એનડીઆરએફની 4 ટીમ વડોદરામાં તંત્રના મદદ કાર્યો માટે તૈનાત છે. આ ઉપરાંત એસડીઆરએફની 4 ટીમો, આર્મીની 2 ટીમ તેમજ એસઆરપીની 2 કંપની તેમજ પોલીસ અને સુરત વડોદરાની ફાયર ટીમ પણ બચાવ રાહત કામોમાં જોડાયા છે.