અમદાવાદ: રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા (Safety and security of citizens)માં વધારો કરવાના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022 (Gujarat Public Safety (Measures) Implementation Act-2022)નો આજે સોમવારથી અમલ કરાશે. નાગરિકોને સુરક્ષા સલામતીમાં સામેલ કરવા જનભાગીદારીથી સી.સી.ટીવી (CCTV) કેમેરા સિસ્ટમ લગાડવા-પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજીયાત કરવાના હેતુથી અધિનિયમનો અમલ કરવા નિર્ણય લેવાયો છે.
પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે. જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવરવાળા સ્થાનો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતાં હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ સી.સી.ટીવી કેમેરા લગાવવાના રહેશે. જાહેર સલામતિ સમિતી દ્વારા ભલામણ કરાયેલા પગલાં છ મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે. જ્યારે 30 દિવસના ફૂટેજ (cctv footage) સાચવવા પડશે.
ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસીત ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં મોટી સંખ્યામાં નાગરિકોની સલામતી તથા સુરક્ષામાં વધારો કરવા સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવેલા છે. રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર 1 ઓગસ્ટથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
આ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વિડીયો ફૂટેજ માંગી શકશે. આ અધિનિયમના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતીની રચના જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.