અમદાવાદ : વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પૂર્વ પતિએ ક્રૂરતા પૂર્વક પત્નીના ઘરમાં ઘુસી હત્યા (woman murder Ahmedabad) કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. વટવા પોલીસે મહિલાના પૂર્વ પતિ સહીત ચાર આરોપીની ધરપકડ (Ahmedabad crime news)કરી છે. પૂર્વ પતિએ માનસિક વિકૃતતામાં આવી ત્રાસના કારણે 15 વર્ષના લગ્નજીવનને ખતમ કરી નાખ્યું છે. ત્યારે પતિ-પત્નીના વિવાદમાં બે નિર્દોષ બાળકોએ માતાની મમતા અને પિતાનો વ્હાલ ગુમાવ્યો છે.
વટવામાં એક મહિલા જીંદગી માટે આજીજી કરતી રહી હતી પરંતુ પૂર્વ પતિએ અને તેના સાથીદારોએ છરીના ઉપરા છાપરી 27 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જયાં સુધી મહિલાનો દમ ન તૂટ્યો ત્યાં સુધી પૂર્વ પતિ હેવાન બની છરીના ઘા મારતો રહ્યો હતો. વિકૃત પૂર્વ પતિ અજય ઠક્કરે પોતાના મિત્રો સાથે મળીને પૂર્વ પત્નીની હત્યા કરી હતી. કારણકે પત્નીએ એક વર્ષ પહેલા છૂટાછેડા લઇને તેનાં મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ અદાવત રાખીને આરોપી અજય અને તેનો પિતરાઈ ભાઈ ભાવેશ , ઋષભ, જયદીપ સહીત 7 લોકો ઇકો ગાડી લઇ મૃતક મહિલા હેમાના ઘરે જઇ રેકી કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.
વટવામાં યુવતીની હત્યા કેસમાં ચારની ધરપકડ
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે 15 વર્ષ પહેલા મૃતક હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠક્કર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓના બે સંતાનો છે. લગ્ન પછી અજય ઠક્કર પત્ની હેમાને અવારનવાર મારતો હતો. જેનાથી કંટાળીને હેમાએ છૂટાછેડા લઇ બે બાળકો અજય ઠક્કરને સોંપ્યા હતાં. છૂટાછેડાના એક મહિના બાદ હેમાએ અજયના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમસબંધ થતા લગ્ન કરી અમદાવાદ વટવામાં સુખસાગર સોસાયટીમાં રહેવા માટે આવી ગઇ હતી. આરોપી અજયએ હેમાની શોધખોળ કરી હતી. જે 11 મહિના પછી વટવા રહેતી હોવાની જાણ થતા જ તે મિત્રો સાથે વટવા પહોંચ્યો અને દોઢ કલાક સુધી તેના મિત્રોએ શોધખોળ કરી રહ્યાં હતાં. તેવામાં હેમાં દૂધ લેવા નીકળી ત્યારે તેના ઘરનો પતો મળ્યો અને ઘરે જઈ હત્યા કરી દીધી હતી. આ હત્યામાં અજય અને ભાવેશે ઉપરા છાપરી 27 છરીના ઘા ઝીક્યાં અને આરોપી કેવલે મહિલાને પકડી રાખી હતી. આ ઘટનામાં અન્ય આરોપીઓએ મદદગારી કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે શોધખોળ કરી છે. હત્યારાઓની ઘાતકી માનસિકતાને રજુ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં છરી સાથે ડાયલોગ બોલતો આરોપી ભાવેશનો વીડિયો છે. જેમાં તે "અમે કોઈને નથી નડતા અને નડે એને નથી છોડતા" તેવું રિલ બનાવ્યું છે. જોકે રિયલમાં પણ તેણે આવી જ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો જ સાબિત કરે છે કે હત્યારાઓ કેવી ક્રૂર માનસિકતા ધરાવે છે. ત્યારે પતિ-પત્નીના વિવાદમાં બે નિર્દોષ બાળકોએ માતાની મમતા અને પિતાનો વ્હાલ ગુમાવ્યો છે.