સંજય ટાંક, અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફીટ ઈન્ડિયા મુવમેન્ટ બાદ રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવે નિવેદન આપતા જણાવ્યું છે કે હવેથી રાજ્યમાં મેદાન વગરની શાળાઓને મંજૂરી આપવામાં નહિ આવે. એટલુ જ નહિ શાળાઓમાં ફિટનેશ એક્ટીવીટીને અભ્યાસ ક્રમમાં વર્ણવવામાં આવશે.
રાજ્યમાં દર વર્ષે અનેક અરજીઓ શાળાઓ શરુ કરવા માટે આવે છે. અમદાવાદમાં જ આ વખતે શાળાઓ શરુ કરવા માટે 160 જેટલી અરજી શિક્ષણ વિભાગને મળી હતી. અત્યાર સુધી અનેક સ્કૂલો મેદાન વગર ચાલી રહી છે ત્યારે હવેથી મેદાન વગરની સ્કૂલોને મંજૂરી આપવામા નહી આવે તેવું શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું છે.
હાલમાં જે શાળાઓ મેદાન વગર ચાલી રહી છે તેની સામે તો પગલા લઈ શકાય તેમ નથી. પરંતુ હવેથી જે સંચાલકો પાસે સ્કુલનુ પોતાનુ મેદાન નહી હોય ઉપરાંત લાબાગાળાના ભાડાપટ્ટાથી કરાર નહી હોય અને વિદ્યાર્થીઓ માટે પુરતી સ્પોર્ટ્સનુ મેદાન નહી હોય તેને મંજૂરી આપવામાં નહી આવે. સાથે સાથે તમામ સ્કૂલોમાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિ વધે તે માટેનુ આયોજન કરવામા આવશે.
સાથે સાથે સરકારી સ્કૂલોમાં સ્પોર્ટસ કીટ આપવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ સેક્રેટરી વિનોદ રાવે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની સ્કૂલોમાં પીટીએ એકસ્ટ્રા કરિક્યુલર પ્રવૃત્તિ હતી તેના સ્થાને તેનો સમાવેશ કરિક્યુલમમાં લાવવામાં આવશે. પેશન અને હોબીને બદલે લર્નિંગ પ્રોસેસમાં આવે તે પ્રમાણે શિક્ષણ વિભાગ આગળ વધશે.