Ahmedabad News: અમદાવાદમાં બે કોન્ટ્રાક્ટરોને રેતી નાખવા બાબતની અદાવતની હત્યા કેસમાં પોલીસે પિતા-પુત્રની કરી ધરપકડ કરી છે. રેતીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે આરોપીઓએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જાન ગુમાવવી પડી હતી.
અમદાવાદ: બે કોન્ટ્રાક્ટરોને રેતી નાખવા બાબતની અદાવતની હત્યા કેસમાં પોલીસે પિતા-પુત્રની કરી ધરપકડ કરી છે. રેતીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે આરોપીઓએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જાન ગુમાવવી પડી હતી. ત્યારે એસ.ટી.એસએ આરોપીની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા માટે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું
મળતી માહિતી પ્રમાણે, પાલડીના સુવિધા સર્કલ પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારે રાજુ વણઝારા અને દશરથ ઓડ નામના કોન્ટ્રાક્ટરને રેતી ભરવા મામલે માથાકૂટ થઈ હતી. ત્યારે બંને વચ્ચેનો ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો. તેમાં પાલડી પોલીસમાં ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત રાજુ ગંગાજી વણઝારાની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, તેના પિતરાઈ ભાઈને ફોન કરી ત્યાં બોલાવ્યા હતા. તેમાં રાજુ ભીખાજી વણઝારા અને રમેશ વણઝારા પહોંચ્યા હતા. ત્યારે દશરથ ઓડના લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમાં રાજુ વણઝારાને પથ્થર વાગતા ગંભીર ઇજા પહોંચી હતી અને તેને સારવાર માટે જીવરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલની બહાર દશરથ ઓડના સાગરીતોએ કારથી અકસ્માત કરી હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. તેમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. રાજુ વણઝારા સાથે 3 લોકો બાઇક લઈને જઈ રહ્યા હતા. ત્યારે બલેનો ગાડી બાઇક પર ચડાવી દીધી હતી. જેમાં ત્રણેય લોકો રોડ પર પડી જતા રાહદારી અરવિંદ ચૌહાણ તાત્કાલિક મદદે દોડ્યા હતા. ત્યારે 108ને કોલ કરી રહ્યા હતા તે સમયે બલેનોએ તેમને અડફેટે લીધા હતા અને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં રાહદારી અરવિંદ ચૌહાણનું મોત નીપજ્યું હતું.
એટીએસએ કાર્યવાહી હાથ ધરી
આ ઘટના બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, હત્યા કરનારો કારચાલક ધ્રુવીન ઓડ, બાજુમાં દશરથ ઓડ અને વિનોદ ગાડીમાં બેઠા હતા. આરોપીઓ રાજુ વણઝારાને મારવાના ઇરાદે કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચ્યા હતા અને તેઓ વચ્ચે તરકાર થયા બાદ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમાં અરવિંદ ચૌહાણ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ હત્યા કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે એટીએસ સેલે પિતા અને પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હજુ એક વિનોદ ઓડ નામનો આરોપી ફરાર છે.