અમદાવાદ : કહેવાય છે કે જર, જમીન અને જોરૂ આ ત્રણેય કજિયા ના છોરું. આ કહેવત ને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના રખિયાલ વિસ્તારમાં (Rakhiyal Ahmadabad) જોવા મળ્યો છે. જ્યાં મહિલાને પાણીની સમસ્યા દૂર કરવા માટે આગેવાની કરવી ભારે પડી છે. પાંચેક જેટલા ઈસમો એ મહિલાને માનસિક ટોર્ચર કરતા તેણે કંટાળી વિડિયો (Video) બનાવીને ફિનાઇલ (Suicide Attempt) પી લીધું છે.રખિયાલના ગરીબ આવાસ યોજના મકાનમાં રહેતા નાઝીયાબેન અંસારી એ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. નાઝીયાબેન કોર્પોરેશનની ચૂંટણી વખતે એઆઈએમઆઈએમ માંથી ઉભા રહ્યા હતા.
જોકે, પાંચેક દિવસ પહેલા તેમના ફ્લેટમાં રહેતા સીબુભાઈ સૈયદએ અજીત મિલ ચાર માળિયા પાસેના મેદાનમાં બોલાવ્યા હતા અને જણાવ્યુ હતુ કે, આપણા ફ્લેટમાં પાણી ની સમસ્યા હોય જે સમસ્યા દૂર કરવા બાબતે ચર્ચા કરી હતી. જો કે આ અંગે પાણી છોડતા નુર આલમને પણ બોલાવ્યા હતા. ત્યારે તેમણે પાણીની સમ્યા વિશે પુછતા અજીત રેસીડન્સીમાં પાણી આપવામાં આવતુ હોવાથી ચાર માળિયામાં પાણીની અછત પડતી હોવાનું જણાવ્યુ હતુ.
જેથી અજીત રેસીડન્સીમાંથી સોસાયટીના માણસો અમ્મુ ચેનલવાળા, ફારુકભાઈ મન્સુરી, અહેજાદખાન તથા મુમતાઝભાઈને મેદાનમમાં ભેગા થઈને પાણીની પાઈપ બંધ કરવા બાબતે ચર્ચા કરતા હતા. બીજી બાજુ અજીત રેસીડેન્સી સોસાયટી તરફથી અલ્તાફભાઈ તથા કોર્પોરેટર ઝુલ્ફીકાર પઠાણ, આફતાબ ભટ્ટીવાળા સહીતના લોકોએ નાઝીયા અંસારીને બોલાવી હતી અને પાણીની સમસ્યા બાબતે પુછપરછ કરી સમજાવટ થઈ હતી.
દરમિયાન સીબુભાઈ જાહેરમાં જોર જોરથી કહેવા લાગ્યા હતા કે, રાત દિવસ બો ચલાવો અને જો બગડી જાય તો સોસાયટી વાળા પાસેથી બમણા રૂપિયા વસુલ કરો તેવુ જણાવી ગાળો બોલી રહ્યા હતા. જેથી નાઝીયા અંસારીએ તેમને ગાળો બોલવાની ના પાડતા સીબુભાઈ, ઈસ્તેખાર, મુમતાઝભાઈ અને નુર આલમ પાણી આપનાર અને ગુડ્ડુ જાડીયો અચાનક નાઝીયાબેનને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર માનસિક ત્રાસ આપતા હતા.
જેથી અંતે કંટાળીને નાઝીયા અંસારીએ તેમના ઘરમાં પડેલુ ફિનાઈલ પી લીધું હતું. જો કે પરીવારના સભ્યોને જાણ થતા નાઝીયાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ રખિયાલ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં નાઝીયા અંસારીએ સીબુભાઈ,ઈસ્તેખાર, મુમતાઝભાઈ, નુર આલમ પાણી આપનાર અને ગુડ્ડુ જાડીયાના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.