Dr. Jivaraj Mehta Memorial Health Foundation: શિક્ષણ મારફતે વંચિત સમુદાયોનું ઉત્થાન કરવા માટે સમર્પિત દાયકા જૂની સંસ્થા ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશને પરોપકારી હેતુઓ માટે ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન (JMSHF) સાથે સહયોગ સાધ્યો છે. આ સહયોગના ભાગરૂપે કેઆરએસએફે હાલમાં જ અમદાવાદમાં આવેલી ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે ન્યૂમેટિક ટ્યુબિંગ સિસ્ટમ અને એન્ડોસ્કૉપી સિસ્ટમ નામના બે મોટા તબીબી ઉપકરણો ખરીદવા ભંડોળ પૂરું પાડ્યું હતું.
અમદાવાદ: શિક્ષણ મારફતે વંચિત સમુદાયોનું ઉત્થાન કરવા માટે સમર્પિત દાયકા જૂની સંસ્થા ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશને પરોપકારી હેતુઓ માટે ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન (JMSHF) સાથે સહયોગ સાધ્યો છે. આ સહયોગના ભાગરૂપે કેઆરએસએફે હાલમાં જ અમદાવાદમાં આવેલી ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે ન્યૂમેટિક ટ્યુબિંગ સિસ્ટમ અને એન્ડોસ્કૉપી સિસ્ટમ નામના બે મોટા તબીબી ઉપકરણો ખરીદવા ભંડોળ પૂરું પાડ્યું હતું. આ 202 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલનું સંચાલન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તે પરવડે તેવા દરોએ તમામ મુખ્ય તબીબી સેવાઓ પૂરી પાડે છે. તે ઓપીડી, આઇસીયુ ફેસિલિટી, કેઝ્યુલિટી વિભાગની સાથે-સાથે રેડિયોલોજી, પેથોલોજી, કિડની ડાયાલીસિસ, હેલ્થ ચેક-અપ અને ફીઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ ધરાવે છે, જેનું સંચાલન 350 ડૉક્ટરોની અનુભવી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
એન્ડોસ્કૉપી સિસ્ટમની મદદથી દર્દીનું નિદાન
આ હોસ્પિટલમાં સંપૂર્ણપણે કાર્યરત બ્લડ બેંક પણ આવેલી છે. ન્યૂમેટિક ટ્યુબિંગ સિસ્ટમનો ઉપયોગ ઘન પદાર્થોનું વહન કરવા માટે થાય છે, જ્યારે એન્ડોસ્કૉપી સિસ્ટમની મદદથી દર્દીનું નિદાન વધુ સારી રીતે થઈ શકે છે. કારણ કે, તેની મદદથી હેલ્થકૅર પ્રેક્ટિશનર અન્નનળી, પેટ અને નાના આંતરડાંની શરૂઆતના ભાગની સારી રીતે તપાસ કરી શકે છે. આ પહેલને જેએમએસએચએફ દ્વારા હાથ ધરવામાં આવેલી આરોગ્ય સેવાની પ્રવૃત્તિઓને સમર્થન પૂરું પાડવાની કેઆરએસએફની કટિબદ્ધતાના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે. કેઆરએસએફે સમાજના લાભ માટે અનેકવિધ સામાજિક સમસ્યાઓને ઉકેલવા પ્રયત્નશીલ વિવિધ સેક્ટરોમાં કામ કરતી અન્ય કેટલીક સંસ્થાઓ સાથે પણ અવારનવાર સહયોગ સાધ્યો છે.
આ પહેલ અંગે વાત કરતાં કેઆરએસએફના સ્થાપક ડૉ. પ્રતુલ શ્રોફે જણાવ્યું હતું કે, ‘ખ્યાતનામ ફીઝિશિયન ડૉ. કે. આર. શ્રોફની સ્મૃતિમાં સ્થાપવામાં આવેલું કેઆરએસએફ શિક્ષણ ઉપરાંત વિવિધ માનવતાવાદી ઉમદા કાર્યો માટે તેની કામગીરીઓના વ્યાપને વિસ્તારવા માટે કટિબદ્ધ છે. જેએમએસએચએફ લોકોને પરવડે તેવા દરોએ ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર પૂરી પાડવા માટે કટિબદ્ધ છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી તેનું જે પ્રકારે સંચાલન થઈ રહ્યું છે, તે સમાજ પ્રત્યેના તેમના સેવાભાવનો પુરાવો છે. કેઆરએસએફ તેમની આરોગ્યસેવાને વધુ સુધારી શકાય તે માટે અદ્યતન, અત્યાધુનિક તબીબી ઉપકરણોની તેમની જરૂરિયાતોને પૂરી કરી આ ફાઉન્ડેશનની આરોગ્યસેવાની પહેલને સહાયરૂપ થઇને ખૂબ જ ગર્વ અનુભવે છે. ’
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘જેએમએસએચએફ સાથે સહયોગ સાધીને અમે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યાં છીએ અને ભવિષ્યમાં વધુ અર્થપૂર્ણ સહયોગ સાધવા માટે તત્પર છીએ.’ છેલ્લાં એક દાયકાથી કેઆરએસએફ ગુજરાતના 400 જેટલા ગામોમાં આવેલી 460 જેટલી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને સુધારવામાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની દિશામાં નિરંતર અને સફળ રીતે કામ કરી રહ્યું છે. આ ફાઉન્ડેશન વિદ્યાર્થીઓને મૂલ્યવર્ધિત શિક્ષણ પૂરું પાડવા અને તેમના સાર્વત્રિક વિકાસની ખાતરી કરવાની સાથે-સાથે ભણવામાં નબળા વિદ્યાર્થીઓને તેમના ધોરણને અનુરૂપ બનાવવામાં પણ મદદરૂપ થઈ રહ્યું છે.