Home /News /ahmedabad /શુ સિવિલમાં હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ ફરી જશે હડતાળ પર ? : જાણો આ રહ્યું કારણ
શુ સિવિલમાં હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ ફરી જશે હડતાળ પર ? : જાણો આ રહ્યું કારણ
અમદાવાદ સિવીલ હોસ્પિટલ (પ્રતિકાત્મક તસવીર)
જે તે સમયે તબીબો હડતાળ પર ગયા ત્યારે આ માંગણીઓ સરકારે સ્વીકારી પણ હતી. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. રજનીશ પટેલ જણાવે છે કે અમારા 12 મુદ્દાઓ હતા તે હડતાળ દરમિયાન મીટીંગમાં પ્રદીપ સિંહ જાડેજા એ મુદ્દા સમજ્યા હતા.
સંજય ટાંક, અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી સિનિયર તબીબો હડતાળ પર જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે ગત મે મહિનામાં તબીબી શિક્ષકો પોતાની પડતર 12 માંગણીઓને લઈ હડતાળ કરી હતી. જે જેતે સમયે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી પણ આ વાતને 6 મહિના જેટલો સમય વીતી ચુક્યો છે. અને પાછલા 6 મહિનામાં સરકારમાં ઘણું બધું બદલાઈ ગયું કે પછી આખી સરકાર બદલાઈ ગઈ તેવું કહીએ તો ચાલે. અને આ 6 મહીનામાં તબીબી શિક્ષકોની માંગણીઓ ઠેરની ઠેર રહી.
હવે આ મેડિકલ ટિચર્સની ધીરજ ખૂટી રહી છે ત્યારે ફરી સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબોની હડતાળના ભણકારા વાગી રહ્યા છે. એશિયાની નંબર વન ગણાતી સિવિલ હોસ્પિટલ હાલ ફરી ચર્ચામાં છે. કારણ કે હોસ્પિટલમાં મેડિકલ ટિચર્ચ એટલે કે સિનિયર તબીબો ફરી હડતાળ પર જાય તેવી સ્થિતિ બની રહી છે. જેનું એકમાત્ર કારણ છે એ મેડિકલ ટિચર્ચની પડતર 12 માંગણીઓ. આ 12 માંગણીઓમાં સેવા વિનિયમિત કરવી, તબીબોની એડહોક સેવા સળંગ ગણવી, તબીબોએ કોરોના વોરિયર તરીકે સેવા કરી જેમાના 30 તબીબો રિટાયર્ડ થયા જેમાં 2ના મોત થયા પણઆ રિટાયર્ડ તબીબોને પેનશન મળ્તું નથી. આવી અલગ અલગ 12 માંગણીઓ હતી.
જોકે મહ્ત્વની વાત એ છે કે જે તે સમયે તબીબો હડતાળ પર ગયા ત્યારે આ માંગણીઓ સરકારે સ્વીકારી પણ હતી. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. રજનીશ પટેલ જણાવે છે કે અમારા 12 મુદ્દાઓ હતા તે હડતાળ દરમિયાન મીટીંગમાં પ્રદીપ સિંહ જાડેજા એ મુદ્દા સમજ્યા હતા. બાદમાં સરકારે અમારી માંગણીઓ સ્વીકારી તે સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
આ વાતને 6 મહિના થવા છતાં એક પણ માંગણી પર અમલ થયો નથી. તબીબોમાં હવે ધીરજ ખૂટી રહી છે. અમે બે થી ત્રણ વાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા છીએ તેઓએ થોડો વખત મુદ્દો સમજવા સમય માગ્યો છે. રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજમાં 1700 મેડિકલ ટીચર્સનું મહેકમ છે. જેમાં 400 જગ્યાઓ ખાલી છે. એ જગ્યાઓ પણ સરકાર કોન્ટ્રાકટ પર ભરવા માંગે છે. પણ તબીબી શિક્ષક કોન્ટ્રાકટ પર ભરી શકાય નહિ. હાલ 400 જગ્યા ખાલી હોવાથી 1300 તબીબો માટે 12 પડતર માંગણીઓ પેન્ડિગ છે.