Home /News /ahmedabad /અમદાવાદ : કોંગ્રેસ પક્ષની માંગણી, સ્કૂલ/ કોલેજની એક સત્રની ફી માફ કરો
અમદાવાદ : કોંગ્રેસ પક્ષની માંગણી, સ્કૂલ/ કોલેજની એક સત્રની ફી માફ કરો
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડો મનિષ દોશી દ્વારા સંપાદન કરેલ ‘વિસ્તરતી ક્ષિતિજ’ ધોરણ 10 પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડો મનિષ દોશી દ્વારા સંપાદન કરેલ ‘વિસ્તરતી ક્ષિતિજ’ ધોરણ 10 પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું
અમદાવાદ : કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડો મનિષ દોશી દ્વારા સંપાદન કરેલ ‘વિસ્તરતી ક્ષિતિજ’ધોરણ 10 પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા.
‘વિસ્તરતી ક્ષિતિજ’ ધોરણ 10 પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી આપણે સૌ કોઈ ચિંતિત છીએ. ગુજરાતનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિની પોતાના ભવિષ્ય માટે આગળ વધી રહ્યા હોય ત્યારે કોરોનાના કપરા સમયમાં પણ યોગ્ય, સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણસેવાનાં ભાગરૂપે કારકિર્દી માર્ગદર્શન પુસ્તક ‘વિસ્તરતી ક્ષિતિજ’વાલી-વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. કારકિર્દી પસંદ કરવા ઉપયોગી સાબિત થશે. કોરોના મહામારીમાં વિદ્યાર્થી – વાલીઓને રાહત મળે તે માટે સત્ર ફી માફીની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. ગુજરાતનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સચોટ અને સરળ માર્ગદર્શન માટે ‘વિસ્તરતી ક્ષિતિજ’ પુસ્તક દ્વારા કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આ સંનિષ્ઠ પ્રયાસ છે. ‘વિસ્તરતી ક્ષિતિજ’પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી તથા સહયોગીને કોંગ્રેસ પક્ષ તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ-10 પછી યોગ્ય અભ્યાસક્રમની પસંદગી મહત્વની બની જાય છે. ગુજરાતનાં તમામ વિદ્યાર્થી મિત્રોને સરળ અને સચોટ માર્ગદર્શન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંનિષ્ઠ આગેવાન અને મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી (એન્જિનિયર) અને તેમના સહયોગીઓ દ્વારા માર્ગદર્શક પુસ્તક ‘વિસ્તરતી ક્ષિતિજ’પ્રસિદ્ધ કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. આવા સુંદર માર્ગદર્શક પુસ્તક પ્રસિદ્ધ કરવા બદલ સહુને અભિનંદન પાઠવું છું. ફી નિર્ધારણ કાયદાના નામે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી મોટી ફી વસુલવામાં આવી રહી છે, ભાજપ સરકારના રાજમાં શૈક્ષણિક સ્ટાફની મોટા પ્રમાણમાં ઘટ છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતર પર થાય છે અને વિદ્યાર્થીઓના ભાવિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. શિક્ષણના વ્યાપારીકરણમાં વ્યસ્ત અને મસ્ત રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહી છે. ભાજપ સરકાર શિક્ષણક્ષેત્રે દિશા વિહીન છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ઉચ્ચશિક્ષણ મેળવવા માંગતા સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ,લોનની સુવિધા યુપીએ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની રકમમાં વધારો કરીને પીઠબળ પૂરું પાડવું જાઈએ તેને બદલે સરકાર શિક્ષણ માટેના નાણાં ઉત્સવો પાછળ વેડફી રહી છે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ સારી શૈક્ષણિક સુવિધાઓ મેળવવાથી વંચિત રહી જાય છે. વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધિત સાચી માહિતી અને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે કોંગ્રેસ પક્ષ સદા પ્રયત્નશીલ છે. કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી અને સહયોગીઓને આવા સુંદર કાર્ય દ્વારા વિદ્યાથીઓને ઉપયોગી થતા રહો તેવી શુભેચ્છા પાઠવું છું.
‘વિસ્તરતી ક્ષિતિજ’ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડૉ. મનિષ દોશી (એન્જીનીયર) એ જણાવ્યું હતું કે, ધોરણ-10 પછી અભ્યાસક્રમોની અનેક તકો ઉપલબ્ધ છે. આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની તકો, સાંપ્રત સમયના નવીન અભ્યાસક્રમો સહીત આગળ વધવા શું કરી શકાય તેવી માહિતી સભર, સચોટ, સરળ માર્ગદર્શક પુસ્તક ‘વિસ્તરતી ક્ષિતિજ’વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ઉતમ જીવન નિર્માણનો સાથીદાર બની રહેશે. સમયસર માર્ગદર્શન મળી રહે તેવા વ્યવસ્થા તંત્ર અતિ આવશ્યક છે. કમનસીબે રાજ્ય સરકાર આ પ્રકારની વ્યવસ્થામાં ઊણી ઉતરી છે જે ચિંતાનો વિષય છે. આઈ.ટી.આઈ. સહિત દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) અને ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની વિગત પણ આપવામાં આવી છે. ‘વિસ્તરતી ક્ષિતિજ’ ધોરણ 10 પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.incgujarat.com અને www.careerpath.info ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.