Home /News /ahmedabad /સુએજ પ્લાન્ટમાંથી નીકળતા બાયોગેસથી સીએનજી તૈયાર કરાયું, થશે કરોડોની આવક

સુએજ પ્લાન્ટમાંથી નીકળતા બાયોગેસથી સીએનજી તૈયાર કરાયું, થશે કરોડોની આવક

એએમસી એકપણ રૂપિયાના રોકાણ વગર કરોડો રૂપિયાની સીધી આવક મેળવશે

AMCનો મહત્વકાંશી પ્રોજેક્ટ. પીરાણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા વિવિધ બાયોગેસનું શુદ્ધીકરણ કરી ધંધાકીય રીતે વેચાણ કરવાનો પ્રોજેક્ટ અમલમાં. થશે કરોડોની આવક

અમદાવાદ: આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વકાંશી પ્રોજેક્ટ કાર્યાન્વિત થઇ ગયો છે. પીરાણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા વિવિધ બાયોગેસનું શુદ્ધીકરણ કરી ધંધાકીય રીતે વેચાણ કરવાનો પ્રોજેક્ટ અમલમાં આવી ગયો છે. જે માટે પીરાણા ખાતે એએમસી અને ખાનગી કંપની દ્વારા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે ઉભા કરાયેલા પ્લાન્ટમાં મીથેન ગેસનું ઉત્પાદન કરી વેચાણ કરવાની શરૂઆત કરી દેવાઇ છે.

એએમસી એકપણ રૂપિયાના રોકાણ વગર કરોડો રૂપિયાની સીધી આવક મેળવશે

15 વર્ષની મુદતથી શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ એએમસીના 15 વર્ષમાં રૂ. 60 કરોડની આવક કરી આપશે. ઉલ્લેખનીય છે કે, આ એક એવો પ્રોજેક્ટ છે કે જેમાં એએમસી એકપણ રૂપિયાના રોકાણ વગર કરોડો રૂપિયાની સીધી આવક મેળવશે. ઓક્ટોબર 2013માં એએમસીએ એક મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં એએમસી સંચાલિત 180 એમએલડી (મિલિયન લિટર પર ડે) ક્ષમતાવાળા પીરાણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા બાયોગેસને વિવિધ ટેકનોલોજીની મદદથી સીએનજી ગેસમાં રૂપાંતરીત કરી અને તે ગેસનું બોટલિંગ કરી ધંધાકીય ધોરણે વેચાણ કરવાનું નક્કી થયું હતું. એએમસીએ રોકસ્ટોન કંપની સાથે કરાર કરીને પીરાણા એસટીપીની 3 હજાર ચોરસ મીટર જમીન પ્લાન્ટ ઉભો કરવા આપી હતી. જેમાં કંપનીએ રૂ.17 કરોડનું રોકાણ કરીને અત્યાધુનિક મશિનરી-ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પ્લાન્ટ ઉભો કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના હવામાનમાં પલટો આવતા ઠેર-ઠેર કમોસમી વરસાદ

4 હજાર ક્યુબીક મીટર ગેસ ઉત્પન્ન કરીને સિલિન્ડરમાં ભરાય છે

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ કે જેને એએમસી, અત્યાર સુધી સીધો બાળી નાંખતી હતી, તેને હવે ખાસ ઉભા કરાયેલા પ્લાન્ટની મદદથી શુધ્ધ કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, કરાર અંતર્ગત એએમસી રોકસ્ટોન કંપનીને દૈનિક દસ હજાર ક્યુબિકમીટર ગેસ આપવાનું નક્કી કર્યુ છે. જે માટે ખાનગી કંપની એએમસીને 9.18 રૂપિયા પ્રતિક્યુબીક મિટરના ભાવ ચૂકવી રહી છે, જેથી એએમસીને વાર્ષિક અઢીથી ત્રણ કરોડ રૂપિયાની આવક થશે. મહત્વનું છે કે, વર્ષ 2015માં પ્લાન્ટનું લોકાપર્ણ તો કરી દેવાયું હતું. પરંતુ એએમસી અને ખાનગી કંપની વચ્ચે થયેલા એમઓયુ મુજબના ધારાધોરણવાળો ગેસ મળી શકતો ન હતો. પરિણામે છેલ્લા કેટલાક સમય સુધી કોઇ પ્રોડક્શન થતું ન હતું. પરંતુ 2019માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નરે આ બાબતમાં ઉંડો રસ લઇને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નવી મશિનરી ઇન્સ્ટોલ કરાવી હોવાથી હવે ખાનગી કંપનને પ્રોડક્શન માટેના ધારાધોરણ મુજબના ગેસ મળતા થયા છે. હવે આ પ્લાન્ટમાં દૈનિક 4 ટ્રોલી ગેસ, એક ટ્રોલીમાં 40 સિલિન્ડર એમ કુલ 4 હજાર ક્યુબીક મીટર ગેસ ઉત્પન્ન કરીને સિલિન્ડરમાં ભરાઇ રહ્યો છે.

વેસ્ટ ટુ એનર્જી કન્સેપ્ટ પર આ પ્રોજેક્ટ અમલમાં

ઉલ્લેખનીય છે કે, એએમસીએ વેસ્ટ ટુ એનર્જી કન્સેપ્ટ ઉપર આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જ્યાં શહેરભરની ડ્રેનેજના પાણીને એમટીપીમાં ટ્રીટ કરાય છે અને તેમાંથી નીકળતા બાયોગેસને શુધ્ધ કરીને ધંધાકીય ધોરણે તેનું વેચાણ શરૂ કરાયું છે. 2019 બાદથી કેટલાક ટેક્નિકલ અને કેટલાક વહીવટી કારણોથી પ્લાન્ટ તેની પૂર્ણ ક્ષમતાએ ચાલ્યો ન હતો. પરંતુ હાલ ધીમી ગતિએ પ્લાન્ટ ચાલુ હોવાથી તંત્રને અત્યાર સુધી 20 લાખથી વધુની આવક થઇ ચૂકી છે. જેમાં ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarat News