Gujarat Elections Exit Poll 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. વિધાનસભાની 182ના બેઠકના તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. ત્યારે 2017 ચૂંટણીમાં એક્ઝિટ પોલ શું હતું અને તેની સામે પરિણામ શું આવ્યું હતું, આ સાથે જ 2022માં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે, તેના પણ એક નજર કરીશું...
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Elections 2022) બંન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જણાવી દઈએ કે, આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ગુજરાત વિધાનસભાના 182 બેઠકના તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. જણાવી દઈએ કે, આગામી 8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. ત્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામના એક્ઝિટ પોલ (Exit Poll 2022) શું કહી રહ્યા છે તે આપને જણાવીશું...
ઉલ્લેખનીય છે કે, 2017ની ચૂંટણીની સામે આ 2022ની ચૂંટણીમાં ગણો તફાવત જોવા મળી રહ્યો છે. 2017માં બે મોટા રાજકીય પક્ષો આમને સામને હતા, જ્યારે વર્ષની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપ 125થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યું છે, તે બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે ભાજપ પાસેથી સત્તા છીનવીને ગુજરાતની ગાદી પર બેસવાનું અનુમાન લગાવી રહી છે. જોકે, આ બન્ને સામે ત્રીજો રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મેદાને જંગ માટે પૂરજોર તૈયારી બતાવી છે. AAP પણ આ 2022ની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવાનો દાવો કરી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ વખતના એક્ઝિટ પોલ પ્રમાણે કોને કેટલી બેઠકો મળી શકે છે.
જણાવી દઈએ કે, 2017ની ચૂંટણીમાં ભાજપ દ્વારા 150 બેઠકનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ અનેક પાટીદાર, દલિત, ઠાકોર સમાજના સહિતના આંદોલનની અસરને લઈને આ ભાજપનું અનુમાન રગદોળાયું હતું અને આખરે ભાજપને 99 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસ 22 વર્ષથી (તે સમયે) સત્તાથી દૂર રહીને સત્તા હાસલ કરવાની મનસા સાથે જીતની દાવેદારી નોંધાવી રહી હતી. પરંતુ આખરે તેમને પણ 77 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. આમ, કોંગ્રેસને 22 વર્ષ બાદ પણ ફરીથી સત્તાનું સપનું, સપનું જ રહ્યું. જોકે, 2017ની ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 2 બે બેઠક, જગ્નેશ મેવાણી સહિત 3 અપક્ષ ઉમેદવારોને જીત મળી હતી. આ સાથે, કુતિયાણાથી લડતા NCPના ઉમેદવાર કાંધલ જાડેજાને પણ જીત મળી હતી. આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 2017માં ભાજપ અને કોંગ્રેસને એક્ઝિટ પોલથી ઘણુ વિપરીત પરિણામ મળ્યું હતું.
તમામ એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ જાહેર કરે છે. એક્ઝિટ પોલ ચોક્કસપણે ચૂંટણી પરિણામોની ખાતરી આપતા નથી હોતા. જણાવી દઈએ કે, ચૂંટણી પંચ સત્તાવાર આંકડા જાહેર કરે છે. આવી સ્થિતિમાં કઈ સર્વે એજન્સીનો એક્ઝિટ પોલ સૌથી સચોટ છે તે તો પરિણામની તારીખે જ ખબર પડે છે. એક્ઝિટ પોલ શું હોય અને એક્ઝિટ પોલ કેવી રીતે તૈયાર થાય છે?
સર્વે એજન્સીઓ મતદારને પ્રશ્ન કરે છે, જ્યારે તે મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવે છે. મતદારને પૂછવામાં આવે છે કે, તેણે કઈ પાર્ટીને મત આપ્યો છે. આને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે.
એક્ઝિટ પોલ કેવી રીતે થાય છે તૈયાર?
મતદારોના અભિપ્રાયના આધારે એજન્સીઓ તેમનો ડેટા તૈયાર કરે છે. સર્વે એજન્સીઓ મતદારોના જવાબો એકત્રિત કરે છે. ડેટા એકત્રિત કર્યા પછી એક્ઝિટ પોલનું પ્રસારણ કરવામાં આવે છે.