Home /News /ahmedabad /લગ્ન પહેલા યુવક તેના બનેવીના કારણે પહોંચ્યો મરણ પથારી પર, અમદાવાદમાં બની ચોકાવનારી ઘટના
લગ્ન પહેલા યુવક તેના બનેવીના કારણે પહોંચ્યો મરણ પથારી પર, અમદાવાદમાં બની ચોકાવનારી ઘટના
અમદાવાદમાં બની ચોકાવનારી ઘટના
Shocking Incident Ahmedabad: વટવામાં લગ્નની કંકોત્રી વહેંચવા ગયેલા સાળા પર જ બનેવીએ છરીથી હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પતિ પત્નીના ઘરેલુ ઝઘડામાં બનેવીએ સાળાની હત્યા કરવાની કોશિશ કરી હતી. ઇજાગ્રસ્ત યુવક મોતની પથારી પર જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે.
અમદાવાદ: વટવામાં લગ્નની કંકોત્રી વહેંચવા ગયેલા સાળા પર જ બનેવીએ છરીથી હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પતિ પત્નીના ઘરેલુ ઝઘડામાં બનેવીએ સાળાની હત્યા કરવાની કોશિશ કરી હતી. ઇજાગ્રસ્ત યુવક મોતની પથારી પર જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે. આ હેવાન બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે. પરંતુ લગ્નનો શુભ પ્રસંગ યોજાય તે પહેલા હત્યા કરવાની કોશિશ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હત્યાની કોશિશના આરોપમાં જેની ધરપકડ કરવમાં આવી છે તેનું નામ નિઝામ શેખ છે. જેને પત્ની સાથે ઝઘડાની અદાવતમાં સાળા સાદિકની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
29 ઓક્ટોબરના રોજ સાદિક અન્સારીના લગ્ન હતા
ઘટના એવી છે કે, 24 વર્ષના સાદિક અન્સારીના 29 ઓક્ટોબરના રોજ લગ્ન હતા. જેથી લગ્નની કંકોત્રી સગા સંબંધીઓને આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન આરોપી નિઝામ શેખ ઘર નજીક છરી લઈને આવ્યો અને સાદીકના ગળાના ભાગે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. સાદિક બાઈક પરથી નીચે પટકાયો અને નિઝામ હત્યા કરવાના ઇરાદે પેટમાં છરીના ઘા મારવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન સાદીકની માતા આયશાબાનુ બુમાબુમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત સાદીકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
આ મામલે વટવા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હોવાનું વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ ગઢવીએ જણાવ્યું છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્નીના ઝઘડામાં સાદિક જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે. તે લગ્ન કરીને નવા જીવનના સપના જોઈ રહ્યો હતો. પરંતુ તેના બનેવીએ છરીના ઘા ઝીકીને મરણ પથારીએ મોકલી આપ્યો છે. આરોપી નિઝામ શેખના 12 વર્ષ પહેલાં સાદિકની બહેન આસમાબાનુ સાથે લગ્ન થયા હતા.
બનેવીએ રચ્યું સાળાની હત્યાનું ષડયંત્ર
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 માસથી બન્ને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા બાળકો સાથે રિસાઈને પિયર આવી ગઈ હતી. પોતાના ભાઈના લગ્નની તૈયારી કરી રહી હતી. 23 ઓક્ટોબરના રોજ નિઝામ બાળકોને લેવા સાસરીએ આવ્યો પરંતુ સાસુએ સાળાના લગ્ન પછી સમાધાનની વાત કરતા ઉશ્કેરાયેલા નિઝામે સાળાની હત્યાનું ષડયંત્ર રચીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારની સાથે પોલીસ પર સાદિકની સલામતીને લઈને પ્રાર્થના કરી રહી છે. હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.