અમદાવાદ: રામાનંદ સાગરની રામાયણ (Ramayan Ravan)માં રાવણનું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi Death)નું મંગળવારે રાત્રે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. અરવિંદ ત્રિવેદી ઘણા લાંબા સમયથી બીમાર હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈ (Mumbai) ખાતે કરવામાં આવશે. અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદી (Kaustubh Trivedi)ના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રે 10 વાગ્યે તેમનું નિધન થઈ ગયું હતું. મંગળવારે રાત્રે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જે બાદમાં કાંદિવલી (Kandiwali) સ્થિતિ પોતાના ઘરે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ઇડરના કુકડિયા ગામ (Arvind Trivedi- Kukadiya village)ના વતની હતા. રામાનંદ સાગરની રામાયણ ટીવી ધારાવાહિકમાં સીતાનું પાત્ર ભજવનારા દીપિકા ચીખલિયા (Deepika Chikhalia)એ અરવિંદ ત્રિવેદના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે અરવિંદ ત્રિવેદી સાથેના સંભારણા વાગોડ્યા હતા.
દીપિક ચીખલિયાએ જણાવ્યું હતું કે, "તેમના નિધનના સમાચાર ખરેખર દુઃખી કરનારા છે. અમારા સંબંધો ખૂબ સારા હતા. તેઓ ખૂબ જ ડાઉન ટૂ અર્થ વ્યક્તિ હતા. અમે અમેરિકામાં સાથે શો કર્યાં છે. એક જ ગાડીમાં બેસીને ટૂર કરી હતી. તેઓ ખૂબ સારા વ્યક્તિ હતા. તેમના અંતિમ સંસ્કાર માટે અમે કાંદિવલી જઈ રહ્યા છીએ."
અરવિંદ ત્રિવેદીના વ્યક્તિવ્ય વિશે વાત કરતા રામાયણના સીતાએ જણાવ્યું હતું કે, "તેઓ ખૂબ જ પ્રોફેસનલ હતા. તેઓ રગમંચ પરથી આવતા હોવાથી તેમનો એ પ્લસ પોઇન્ટ હતો. શૂટિંગ પર તેઓ ખૂબ જ તૈયારી કરીને આવતા હતા. તેમને તમામ વાત કંઠસ્થ જ રહેતી હતી. એ સમયે ટેલપ્રોમ્પટર ન હતા. તેમને તમામ ડાયલોગ કંઠસ્થ જ રહેતા હતા. થિયેટરની તાલિમ તેમને ખૂબ કામ આવી હતી. જરા પણ એવું લાગે કે આ બરાબર નથી તો તેઓ હસતા મોઢે રી-ટેક આપતા હતા. કામ પ્રત્યે તેઓ ખૂબ જ સમર્પિત હતા. શૂટિંગ વખતે સેટ પર લાઇટબોયથી લઈને તમામ લોકો સાથે તેમનું વર્તન ખૂબ સારું રહેતું હતું. રામાયણ સીરિયલમાં કામ કર્યું તેના પહેલા જ તેઓ ગુજરાતી સિનેમાના બહુ મોટા અભિનેતા હતા. તેમનો સ્વભાવ ખૂબ જ આનંદી હતો."
શૂટિંગ વખતના સંભારણા વાગોડતા દીપિકા ચીખલિયાએ જણાવ્યું હતું કે, "શૂટિંગ વખતે અમારા બંનેનો મેકઅપ રૂમ બાજુ બાજુમાં હતો. હું જ્યારે મેકઅપ કરવા જાવ ત્યાર તેમનું શિવ તાંડવ શરૂ થાય. જે બાદમાં મને ખબર પડી જાય કે અડધો કલાકનો બ્રેક આવશે. તેમના શિવ તાંડવ સ્તોત્ર પૂરા થાય ત્યાં સુધી મારો મેકઅપ પૂર્ણ થઈ જતો હતો."
અભિનેતા તરીકે અરવિંદ ત્રિવેદ કેવા હતા તેના વિશે વાત કરતા દીપિકા ચીખલિયાએ જણાવ્યું હતું કે, "હું ગુજરાતી ફિલ્મોમાં કામ કરતી ત્યારે ઘણી વખત તેમની સાથે મુલાકાત થતી હતી. શૂટિંગ દરમિયાન તેમને ક્યારેય કંટાળો આવતો ન હતો. ગમે તેટલા લાંબા સીન હોય, ગરમી હોય, કે કોઈ વિપરિત પરિસ્થિતિ હોય તો પણ તેઓ એકદમ સમર્પિત થઈને કામ કરતા હતા."
અરવિંદ ત્રિવેદીની ફિલ્મો (Arvind Trivedi movies)
અરવિંદ ત્રિવેદીએ અનેક સફળ ગુજરાતી ફિલ્મોમાં અભિયન કર્યો છે. જેમાં 'જેસલ તોરલ', 'હોથલ પદમણી', 'દેશ રે જોયા દાદા પરદેશ' જોયા વગેરે સામેલ છે. તેમણે હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
લોકપ્રિય રામાયણ સિરિયલના લંકેશનુ નિધન
82 વર્ષની વયે અરવિંદ ત્રિવેદીનું થયું નિધન pic.twitter.com/Vj6HKPslm7
અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકો સાથે કરી હતી. ગુજરાતી સિનેમાના ખૂબ જ જાણીતા ઉપેન્દ્ર ત્રિવેદીના તેઓ ભાઈ છે. અરવિંદ ત્રિવેદી રામાયણમાં લંકેશનું પાત્ર ભજવીને દેશના ઘરે ઘરે જાણીતા બન્યા હતા. તેમણે 300થી વધારે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 1991થી 1996 સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ રહી ચૂક્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર