અમદાવાદઃ સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના એસજી હાઇવે વિસ્તાર, પ્રહ્લલાદ નગર, બોડકદેવ, સરખેજ, વેજલપુર, બોપલ, થલતેજ અને ચાંદખેડામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી 3 કલાક સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
ક્વોલિફાયર મેચમાં વરસાદી વિઘ્ન
મહત્ત્વનું છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ આજે IPL 2023ની બીજી ક્વોલિફાયરમાં એકબીજા સામે ટકરાશે. ત્યારે હવે આ મેચ માટે વરસાદનું વિઘ્ન આડે આવી ગયું છે.
હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે આગાહી કરીને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ વિક્ષોભ)ના કારણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 28-29 મેએ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દેશમાં ચોમાસું કેવું રહેશે તે અંગે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 96% વરસાદ સાથે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના આગામી પાંચ દિવસના હવામાન અંગેની શક્યતાઓ વ્યક્ત કરીને અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, પરંતુ જોકે, લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીની હાલ સંભાવના નથી, જો શક્યતાઓ દેખાશે તો તે અંગેની માહિતી આપવામાં આવશે. જોકે, તેમણે આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.