અમદાવાદ: શહેરની ઓળખ સમા માણેકચોકનું ખાણીપીણી બજાર ફરી ધમધમતું થયું છે. બજારમાં ફરી ટેબલ ખુરશી મુકાતા મોટી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે ઉમટ્યાં છે. છેલ્લા 5 દિવસથી માણેકચોકમાં આવતા લોકો ટેબલ ખુરશી વિના નીચે બેસીને જમવા મજબૂર બન્યાં હતા. કેટલાક તો ટેબલ ખુરશી ન જોતા ખાધા વિના જ પરત ફરી રહ્યા હતા. જોકે, હવે સમાધાન થતાં ફરી બજાર ધમધમતુ થયું છે. અહીંના સ્થાનિકોની કેટલીક મુશ્કેલીને કારણે પોલીસે ખુરશી હટાવી હતી, પરંતુ હવે શાંતિથી અને કોઇને નડતર રૂપ ન થાય તેમ બજારમાં ખુરશી ટેબર રાખવા તેવી બાંહેધરી બાદ પોલીસ સાથે સમાધાન થયું છે.
કેમ સર્જાયો હતો વિવાદ?
અમદાવાદમાં ખાણીપીણીનું ઠેકાણું એટલે માણેકચોક. અમદાવાદની ઓળખ સમા માણેકચોકના ખાણીપીણી બજારમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવાદ સર્જાયો હતો. અચાનક ત્યાંથી ટેબલ ખુરશી ગાયબ થયા હતા. ખાણીપીણી માટે પ્રખ્યાત માણેકચોકમાં રાત્રિના સમયે માનવ મહેરામણ ઉમટી પડે છે. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક સર્જાય છે. જેના કારણે તંત્ર દ્વારા વિક્રેતાઓને ટેબલ ખુરશી મુકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમ છતાં ખાણી-પીણીના શોખીન લોકો પાથરણા પર બેસીને માણેકચોકમાં સ્વાદનો ચસકો માણી રહ્યા હતા. નીચે બેસીને પણ લોકો જમવાનો આનંદ ઉઠાવી રહ્યા હતા. લોકોનું કહેવું હતું કે, નીચે બેસીને જમવાની પણ કંઈક અલગ જ મજા આવે છે અને બેઠક વ્યવસ્થા ભલે ફરી પણ અહીંનો સ્વાદ ફર્યો નથી.
ખાણીપીણી બજારના વેપારીઓનું કહેવું છે કે, અમારે વેપારીઓ વચ્ચે કોઇ આતંરિક વિવાદ ન હતો. અહીંના સ્થાનિકોની કેટલીક મુશ્કેલીને કારણે પોલીસે ખુરશી હટાવવા કહ્યું હતું પરંતુ હવે શાંતિથી અને કોઇને નડતર રૂપ ન થાય તેમ બજારમાં ખુરશી ટેબર રાખવા તેવી બાંહેધરી બાદ પોલીસ સાથે સમાધાન થયું છે.