Ahmedabad news: વહેલી સવારે જયેશગીરી હજુ આંખ ઉઘાડે તે પહેલા જ મૃતક ફાઇનાસ્નર ઉઘરાણી માટે આવી પહોંચ્યો હતો, જેની દાઝ રાખી આરોપી આવેશમાં આવી ગયો અને છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી.
અમદાવાદ: સવારે છ વાગ્યે વ્યાજની ઉઘરાણી કરવી કુખ્યાત ફાઇનાન્સરને ભારે પડ્યું હોવાની ઘટના બની છે. રૂપિયા ઉઘરાવવા સવારે છ વાગ્યે ગયેલા વૃદ્ધને છરીના ઘા મારી રહેંસી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ખોખરા પોલીસે વ્યાજખોરની હત્યા મામલે આરોપીની અટકાયત કરી છે. હત્યાની આ ઘટના સીસીટીવીમા પણ કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે આરોપી પીડિતને ઉપરા ઉપરી છરીના ઘા મારી રહ્યો છે. પોલીસે હત્યા મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીડિતનું હૉસ્પિટલ ખાતે મોત થયું હતું.
ખોખરા સર્કલ પાસેના મ્યુનિસિપલ ગાર્ડન પાસે બુધવારે વહેલી સવારે એક હત્યાનો બનાવ બન્યો હતો. સવારે છ વાગ્યાની આસપાસ સુબ્રમણી રાજવેલ મુદ્દલિયાર ઉર્ફે બાલા નામનો વ્યક્તિ અહીં આવ્યો હતો. ઉઘરાણી બાબતે તે સવારે છ વાગ્યે અહીં આવતા જયેશગીરી નામના વ્યક્તિ સાથે તેની બબાલ થઈ હતી. જયેશગીરીએ છરીના ઘા મારી પોતાના જ ઘરની બહાર તેને રહેંસી નાખ્યો હતો. ઇજાગ્રસ્ત ફાઇનાન્સરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આઈ ડિવિઝનના એસીપી એન. એલ. દેસાઈએ આ મામલે જણાવ્યું કે, ઘટનાની બીજી બાજુની વાત કરીએ તો મૃતક સુબ્રમણી રાજવેલ મુદ્દલિયાર ફાયનાન્સર હતો. તેણે જયેશગીરીને વ્યાજે નાણા આપ્યા હતા. વ્યાજ સહિતની રકમ આરોપી ચૂકવતો હોવા છતાં અમુક 30-35 હજાર લેવાના બાકી હોવાથી મૃતક આરોપીના ઘરે પહોંચ્યો હતો. વહેલી સવારે જયેશગીરી હજુ આંખ ઉઘાડે તે પહેલા જ મૃતક ઉઘરાણી માટે આવી પહોંચ્યો હતો. જેની દાઝ રાખી આરોપી આવેશમાં આવી ગયો અને છરીના ઘા મારી તેને રહેંસી નાખ્યો હતો.
હાલ આરોપી જયેશગીરીની પોલીસે અટકાયત કરી છે. મૃતક અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક હાટકેશ્વર સર્કલ બેસી વ્યાજનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. જો કોઈ વ્યક્તિઓને વ્યાજ આપવામાં મોડું થાય તો ઊંચી પેનલ્ટી વસૂલતો હતો. આ ઉપરાંત 20 થી 40 ટકા વ્યાજ વસૂલીને પોતે ઓફિસ રાખી પોલીસની જેમ રિમાન્ડ લઈ માર મારતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.