અમદાવાદ : સાસરિયાના ત્રાસથી વધુ એક પરિણીતાએ જીવન ટુંકાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં એક પરિણીતા એ પતિ, દિયર અને સાસુ સસરાનાં ત્રાસથી કંટાળી આપઘાત (Suicide) કરી લીધો છે. પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી.
ગઇકાલે સાંજના સમયે ચાંદખેડામાં એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પરિણીતાના પિતા પુરણભાઈને જમાઈ આશિષ મકવાણાનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક ચાંદખેડામાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બોલાવ્યા હતા. જ્યાં પહોંચતા તેઓની દિકરી રોશનીએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે દિકરીનાં સાસરિયાઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપી પિતા અને સસરાની ધરપકડ કરી છે.
રાણીપ વિસ્તારમાં રહેતી રોશની ઉર્ફે પાયલએ વર્ષ 2020માં ચાંદખેડામાં રહેતા આશિષ મકવાણા નામનાં યુવક સાથે સમાજની રિતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રોશની અવારનવાર જ્યારે પિતાનાં ઘરે આવતી હતી ત્યારે પતિ, સાસુ-સસરા અને દિયર દ્વારા ઘરકામ બાબતે અવારનવાર તકરાર કરી માનસિક ત્રાસ અપાતા હોવાની ફરિયાદ કરતી હતી. તેમજ સાસુ સસરાની ચઢામણીથી પતિ અને દિયર તેને ગંદી ગાળો બોલીને માર મારતા હોવાનું પણ જણાવતી હતી. એટલું જ નહીં રોશનીને છેલ્લાં 9 મહિનાથી બીમાર હોય તો સાસરિયાઓ તેની સારવાર પણ કરાવતા નહોતા. અને દવા માટે પૈસા પણ આપતા ન હતા. જેથી રોશની જ્યારે પણ પિતાનાં ઘરે આવતી ત્યારે પતિને પૈસાની જરૂર છે અને સાસરિયાઓ સારવારનાં પૈસા પિતા પાસેથી લાવવા માટે દબાણ કરતા હોવાની આપવિતી જણાવતી હતી. જેનાં કારણે ફરિયાદી પુરણભાઈ દિકરી રોશની જ્યારે પણ ઘરે આવતી તેને પૈસા આપતા હતા.
પરિણીતા નો પતિ આશિષ મકવાણા તેની પત્ની પર શક વહેમ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું સામે આવ્યું છે. આરોપી પતિ છૂટક મજૂરી કરતો હતો અને યુવતીના પિતા સરકારી નોકરી કરતા હોવાથી યુવતીને ઘરેથી પૈસા લાવવા માટે પતિ આશિષ અને સસરા દબાણ કરતા હતા. હાલ પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.