અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ફરી એકવાર વિવિધ વિભાગોમાં બદલીના દોર શરૂ થયા છે. ચૂંટણી પ્રક્રિયા પહેલાં બદલી અને બઢતીની મોસમ શરૂ થઈ હતી, ત્યારબાદ આચારસંહિતા લાગી જતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ બદલી કે બઢતી જોવા મળી ન હતી. પરંતુ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરીવાર બદલીનો દોર જોવા મળી રહ્યો છે. આજે બે આઈએએસની બદલી કરવામાં આવી છે. જેમાં મોના ખંધારને ફાઇનાન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે તો મિલિન્દ તોરવણેને ટેક્સ વિભાગના ચીફ કમિશનર બનાવવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચારમુક્ત શાસન સરકારનું લક્ષ્ય
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવે આ પાંચ વર્ષની સરકાર માટે દરેક વિભાગમાં પ્રમાણિકતા આવે તે માટેની પહેલ કરવાના છે અને તે જ પ્રકારે હવે પ્રમાણિક અધિકારીઓની બોલબાલા જોવા મળશે. તે જ અંતર્ગત જુદા જુદા વિભાગમાં સમયાંતરે પ્રમાણિક અધિકારીઓનું વર્ચસ્વ વધતું જશે. આમ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ મેન્ડેટ આપી અને મોકલેલી છે, ત્યારે પ્રજાહિતના કાર્યો અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન જ ભુપેન્દ્ર પટેલ સરકારનું અંતિમ લક્ષ્ય છે અને તે માટે જ પ્રમાણિક અધિકારીઓની પસંદગી જોવા મળશે.
પ્રામાણિક અધિકારીઓનો દબદબો વધશે
રાજ્યના મહત્વના વિભાગોમાં આ પ્રમાણિક અધિકારીઓનો દબદબો આવનારા દિવસોમાં વધતો જણાશે અને તે પ્રકારના પોસ્ટિંગ પણ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અધિકારીઓને આપવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને પબ્લિક ડિલિંગ સાથે જોડાયેલા વિભાગોમાં આ પ્રકારના અધિકારીઓની પસંદગી કરવામાં આવશે.