Home /News /ahmedabad /Ahmedabad: અમદાવાદની મહિલા બની માથાભારે વ્યાજખોર, 10 વર્ષ વ્યાજ ચૂકવ્યા બાદ યુવકે કરવો પડ્યો આપઘાત
Ahmedabad: અમદાવાદની મહિલા બની માથાભારે વ્યાજખોર, 10 વર્ષ વ્યાજ ચૂકવ્યા બાદ યુવકે કરવો પડ્યો આપઘાત
મૃતક દ્વારા લખાયેલી સુસાઇડ નોટમાં સમગ્ર વિગતો સામે આવી છે.
મૃતક દ્વારા લખાયેલી સુસાઇડ નોટમાં એ પણ વિગતો સામે આવી છે કે મૃતકે અત્યારે સુધીમાં જેટલા પણ રૂપિયા યાસ્મીન બાનુ પાસે લીધા તે પૈસા વ્યાજ સાથે પરત આપી દીધા છે તેમ છતાં પણ આરોપી મહિલા દ્વારા વધુ પૈસાની માંગણી કરીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.
અમદાવાદ: શહેર (Ahmedabad)ના વેજલપુર (Vejalpur) વિસ્તારમાં મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક યુવકે આપઘાત (Youth Suicide) કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 10 વર્ષ સુધી યુવકે લીધેલા પૈસાનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પણ મહિલાએ જાનથી મારી નાખવાની ધમકી (threat)ઓ આપી એટલી હદે ટોર્ચર કર્યો કે અંતે યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જોકે આત્મહત્યા પહેલા યુવકે લખેલી સુસાઈડ નોટના આધારે પોલીસે આત્મહત્યા (Suicide) દુષ્પ્રેરણનો ગુનો નોંધી મહિલાની ધરપકડ (Women Arrested) કરવા તજવીજ શરૂ કરી છે.
વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરામાં રહેતા 46 વર્ષીય યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે મૃતક મોહમદ સાદિક શેખના ભાઈ મોહમ્મદ આબિદ શેખે વેજલપુરમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના ભાઈ મોહમ્મદ સાદિક શેખે 18 જુલાઈના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કન્સ્ટ્રક્શન અને હેર સલૂનનમાં કામ કરતા મૃતકની અંતિમવિધિ પતાવીને પરિવારજનો ઘરે આવ્યા હતા ત્યારે ઘરમાં તપાસ કરતા મૃતકના પલંગના ગાદલા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જે ચિઠ્ઠી વાંચતા મૃતકની આત્મહત્યા પાછળનું કારણ શાહઅલમ વિસ્તારમાં રહેતી યાસ્મીનબાનુ શેખ હોવાનું સામે આવ્યું હતું.
ચિઠ્ઠીમાં મૃતકે 10 વર્ષથી પોતાના અને યાસ્મીનબાનુના નાણાકીય વ્યવહારો અંગે લખીને જણાવ્યું હતું કે, તે દસ વર્ષથી યાસ્મીન બાનુ પાસે ઉછીના પૈસા લેતો હતો અને જેનું વ્યાજ પણ ભરતો હતો. છતાં પણ યાસ્મીન બાનુ દ્વારા તેને ધમકીઓ આપવામાં આવતા અંતે તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
મૃતક દ્વારા લખાયેલી સુસાઇડ નોટમાં એ પણ વિગતો સામે આવી છે કે મૃતકે અત્યારે સુધીમાં જેટલા પણ રૂપિયા યાસ્મીન બાનુ પાસે લીધા તે પૈસા વ્યાજ સાથે પરત આપી દીધા છે તેમ છતાં પણ આરોપી મહિલા દ્વારા વધુ પૈસાની માંગણી કરીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેના કારણે મૃતક સતત માનસિક તણાવમાં રહેતા હોવાથી પરિવારજનો સાથે વાતચીત પણ કરતો ન હતો. તેમજ જો સાદિક હુસેન યાસમીન બાનુને સમયસર વ્યાજના પૈસા ન ચૂકવે, તો તે અવારનવાર ફોન કરી અને છેલ્લે ઘરે આવીને પણ પૈસા લઈ જતી હતી. આ મામલે વેજલપુર પોલીસે સુસાઇડ નોટના આધારે મહિલા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડની તજવીજ શરૂ કરી છે.
મહત્વનું છે કે મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક યુવકે જીવનનો અંત લાવી દેતા તેના બે બાળકો નિરાધાર થયા છે. પોલીસે આરોપી મહિલાને ઝડપી જેલ હવાલે કરવાની તજવીજ શરૂ કરી છે. ત્યારે આરોપીના ઝડપાયા બાદ આ કેસમાં કેવા ખુલાસાઓ સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.