3 થી 5 લાખના ખર્ચે થતા ઓપરેશન અહીં વિનામૂલ્યે કરી આપવામાં આવે છે
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ સાથે આસામ સરકાર સાથે થયેલા એમઓયુ મુજબ 19 બાળકોના હૃદયરોગ દર્દીઓની પ્રથમ બેચ તેમના માતા-પિતા સાથે મોડી રાત્રે ફ્લાઈટ દ્વારા ગુવાહાટીથી અમદાવાદ હાર્ટ હોસ્પિટલમાં આવી પહોંચી હતી.
Parth Patel, Ahmedabad: શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આસામ સરકાર દ્વારા હૃદયરોગની સારવાર માટે 19 બાળદર્દીઓને વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સંસ્થા દ્વારા આ બાળદર્દીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાળકોને હૃદયરોગની સારવાર માટે ફ્લાઈટ દ્વારા ગુવાહાટીથી અમદાવાદ હાર્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા
થોડા દિવસો પહેલા જ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ સાથે આસામ સરકાર સાથે થયેલા એમઓયુ મુજબ 19 બાળકોના હૃદયરોગ દર્દીઓની પ્રથમ બેચ તેમના માતા-પિતા સાથે મોડી રાત્રે ફ્લાઈટ દ્વારા ગુવાહાટીથી અમદાવાદ હાર્ટ હોસ્પિટલમાં આવી પહોંચી હતી.
આ બાળદર્દીઓનું એરપોર્ટ પર આસામના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ રશ્મીકાંત છાયા, પબ્લિક પ્રોસેક્યુટર મિતેશ અમીન અને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ ભીમાણી દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌથી ખાસ વાત તો એ છે કે આ બાળકોને તેમની હ્રદયની બીમારી માટે પણ સંસ્થા દ્વારા મફતમાં સારવાર આપવામાં આવશે.
3 થી 5 લાખના ખર્ચે થતા ઓપરેશન અહીં વિનામૂલ્યે કરી આપવામાં આવે છે
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદયરોગની ચેરીટેબલ હોસ્પિટલ છે. જેમાં બાળકોના હૃદયના ઓપરેશન જેનો કોઈ પણ હોસ્પિટલમાં 3 થી 5 લાખ ખર્ચો થાય છે. તેવા મોંઘા ભાવના ઓપરેશન અહીં વિનામૂલ્યે કરવામાં આવે છે.
આ હોસ્પિટલ દ્વારા દેશના અલગ અલગ રાજ્યો સાથે કરાર થયેલ છે. જેમાં ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ અને બિહારના હૃદયરોગના દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.
310 બેડ, 4 ઓપરેશન થીએટર, 4 આઈસીયુ – આઈસીસીયુ અને કેથ લેબ ધરાવતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા સેવા ક્ષેત્રે અનન્ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.
10,00,000 થી વધુ દર્દીઓની ઓપીડીમાં અને 20,000 થી વધુ હૃદયરોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા
દિલ વિધાઉટ બિલના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. કલામે આ હોસ્પિટલને દિલ વિધાઉટ બિલના નામથી બિરદાવી હતી. જ્યારે રાજકોટમાં આ હોસ્પિટલ છેલ્લા 22 વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે.
આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદયરોગના દર્દીઓ છેલ્લા 22 વર્ષથી મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 10,00,000 થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે અને 20,000 થી વધારે હૃદયરોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ આપણા સમાજના ઘણા જરૂરિયાતમંદ બાળકોને મફત કાર્ડિયાક ટ્રીટમેન્ટ આપીને નવું જીવન આપવા માટે નિમિત્ત બની રહી છે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે આજે આસામ રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાતની સંસ્થા શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ આસામ આવીને આસામની જનતા માટે સેવા કરે તે એક ચમત્કારથી ઓછું નથી. હું સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદની સેવાને નતમસ્તક વંદન કરું છું.