ભારત-અમેરિકાના ડોક્ટરોના સંયુક્ત પ્રયાસથી સિવિલમાં 17 બાળકોની મૂત્રાશય સંબંધિત જટિલ સર્જરી કરાઈ હતી. જેમાં 4 આંતરરાષ્ટ્રીય દર્દીઓમાં ઘાના અને બહામાસના 1-1 તથા બાંગ્લાદેશના 2 દર્દીઓનો પણ સમાવેશ થાય છે.
Parth Patel, Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગત અઠવાડિયે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા 15મો વાર્ષિક બ્લેડર એક્સસ્ટ્રોફી - એપિસ્પેડિયાસ સાત દિવસીય વર્કશોપ સંપન્ન થયો છે. આ રોગના દર્દીઓમાં જન્મજાતથી થતી કિડની સંબંધિત સમસ્યાઓના નિદાન અને સારવાર માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
મૂત્રાશયની સમસ્યા ધરાવતા 155 દર્દીઓએ વર્કશોપમાં ભાગ લીધો આ વર્કશોપમાં વિવિધ સર્જન, રેસિડેન્ટ ડૉક્ટરો, નર્સિંગ અને રિસર્ચ ટીમ, સ્વયંસેવકો અને નિરીક્ષણ સર્જનો સહિત 55 સભ્યોએ ભાગ લીધો હતો. તથા વર્કશોપમાં પેશાબની કોથળીની ખામી ધરાવતા 155 થી વધુ દર્દીઓએ તેમના પરિવારો સાથે તપાસ, પરામર્શ અને સારવારના હેતુસર ભાગ લીધો હતો.
છેલ્લાં 14 વર્ષથી ફોલો-અપ પર રહેલા 110 દર્દીઓ, 40 ફ્રેશ દર્દીઓ સહિત અન્ય ઓપરેશન કરાયેલા દર્દીઓએ પણ માર્ગદર્શન માટે ભાગ લીધો હતો. કોવિડ મહામારી પછી તબીબી ક્ષેત્રે નવી ઊર્જા સાથે નવી ક્ષિતિજોને સાકાર કરવાના ધ્યેય સાથે કામગીરી કરી રહેલા ભારત અને અમેરિકાના તબીબોની ભાગીદારીની સાર્થક ઉજવણી સ્વરૂપે આ વર્કશોપ આયોજિત થયો હતો.
4 આંતરરાષ્ટ્રીય દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી
આ અંગે બાળરોગ સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વર્કશોપના પ્રથમ બે દિવસ એકેડેમિક ડિસ્કશનનું સેશન યોજાયું હતું. જ્યારે બાકીના 5 દિવસ દરમિયાન લાંબી જટિલ રી-કન્સ્ટ્રક્ટિવ શસ્ત્રક્રિયાઓ પાર પાડવામાં આવી હતી. જેમાં 4 આંતરરાષ્ટ્રીય દર્દીઓ સહિત મૂત્રાશયની એક્સ્ટ્રોફી – એપિસ્પેડિયાસ ધરાવતાં 17 બાળકોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ 4 આંતરરાષ્ટ્રીય દર્દીઓમાં ઘાના અને બહામાસના 1-1 તથા બાંગ્લાદેશના 2 દર્દીઓની સર્જરી પાર પાડવામાં આવી હતી. છેલ્લા 5 દિવસમાં દરરોજ વિવિધ પ્રકારની 3 પડકારજનક સર્જરીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ તદ્દન નવા પ્રકારના વર્કશોપમાં લાઈવ સર્જરીઓને કોન્ફરન્સ રૂમમાં જીવંત ચર્ચા સાથે પ્રસારિત કરવામાં આવતી હતી.
સૌનો સહિયારો પ્રયાસ દર્દીઓ માટે લાભદાયી બન્યો
આ વર્કશોપમાં ભાગ લેનાર બધા જ સર્જનો માટે એક ખૂબ જ મદદરૂપ સાબિત થયું હતું. નર્સિંગ ટીમ તમામ જટિલ સર્જરીઓ માટે જરૂરી પ્રી-પોસ્ટ ઓપરેટિવ સંભાળની ખાતરી કરી રહી હતી. જ્યારે સંશોધન ટીમ અને સ્વયંસેવકો દર્દીઓના પરિવારોનું કાઉન્સેલિંગ કરીને તેમની પાસેથી મહત્વપૂર્ણ ડેટા એકત્ર કરી રહ્યા હતા અને તેમના મનોબળને મજબૂત બનાવી રહ્યા હતાં. સૌના સહિયારા પ્રયાસ થકી યોજાયેલો આ વર્કશોપ દર્દીઓ સહિત સૌ માટે લાભદાયી બન્યો હતો. વિશ્વભરના દર્દીઓને વિનામૂલ્યે મૂત્રાશયની એક્સ્ટ્રોફીની સર્વશ્રેષ્ઠ સારવાર પૂરો પાડનાર આ વર્કશોપ ખરા અર્થમાં આવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં તેમની નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતા બદલ ભારત અને અમેરિકાની તબીબી ટીમોને અધિક મુખ્ય સચિવ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.