Home /News /ahmedabad /108 Ambulance: વરસાદી માહોલ વચ્ચે 29 હજારથી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત થઇ 108 એમ્બ્યુલન્સ

108 Ambulance: વરસાદી માહોલ વચ્ચે 29 હજારથી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત થઇ 108 એમ્બ્યુલન્સ

ભારે વરસાદની વચ્ચે પણ 108 એમ્બ્યુલન્સ સેવાની ઉડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે.

ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ 108ની નિશુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે.

અમદાવાદ: મોતના મુખમાં ઘકેલાઇ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઇ પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ (108 ambulance)સેવાએ સંજીવની કરતા લગીરેય ઊણી ઉતરે એવી નથી.  શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે. અસંખ્ય લોકોના દુ:ખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે અને હજુય અહર્નિશ પણે એ જ માનવ સેવા દાયિત્વ નિભાવી રહી છે.

છેલ્લાં 7 દિવસથી રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ 108 એમ્બ્યુલન્સ સેવાની ઉડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લાં ૭ દિવસમાં જ 29 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડીને 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ છે.

108ના સ્ટાફે કર્તવ્ય નિષ્ઠા એવી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતના કોઇપણ ખુણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોડ 108 આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે હાશ ! 108 આવી ગઇ, હવે વાંધો નહી આવે.

આ પણ વાંચો- તિસ્તા ગેંગ અને કોંગ્રેસે શરમ નેવે મુકી ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું: જીતુ વાઘાણી

ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન 108ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે 108 એમ્બ્યુલન્સની સેવા ખુબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ 108ની નિશુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 800 થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત - દિવસ કાર્યરત છે.

108 GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિ જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ 257 તાલુકા, 18 હજાર જેટલા ગામો, 33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108ની સેવાનું માળખું ફેલાયેલુ છે. ગણતરીની મિનિટમાં ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત,  બિમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર પુરી પાડવાનું કામ કરે છે. સગર્ભાઓને પ્રસૂતિ દરમિયાન ઝડપી ઘર સુધી પહોંચી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અને તેને પિડાવિહિન પ્રસૂતિ કરાવવામાં આ 108ની સેવા ખુબ મદદરૂપ બની છે.

આ પણ વાંચો- ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા એ તારાજી સર્જી

રાજ્યમાં 108ની એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાથી આજ સુધીમાં 1.33 કરોડ લોકોએ આ 108 એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. રાજ્યમાં ખુબ ગંભીર પરિસ્થિતિમાં આ 108ના કર્મીઓની સમયસરની સેવાના કારણે 12.56 લાખ લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય પણ થયું છે, તો 1.19 લાખ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે. હાલમાં અંદાજીત 4 હજારથી વધુ 108 કર્મીઓ સેવા આપી રહ્યા છે.

અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજીથી સજ્જ આ 108 એમ્બ્યુલન્સ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરીંગ કરવાના કારણે આ સેવા ખુબ ઝડપી અને લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે. 108 મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખુબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલના સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર - ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પીડિત વ્યક્તિને તત્કાલિન સેવા મળી રહે છે. સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે. ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર 108 સેવાનું મોનિટરીંગ ઇમરજન્સી મોનિટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજીત 7000 જેટલા કોલ્સ લેવામાં આવે છે. ખરેખર, રાજ્યમાં આરોગ્યની સેવાને ખુબ ઝડપી ઘર ઘર સુધી પહોચાડવામાં 108 એમ્બ્યુલન્સ સેવા પીડિતને નવજીવન બક્ષનાર દેવદૂત સમાન બની ગઇ છે. ઈમરજન્સીના કેસમાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ સંજીવની સમાન સાબિત થઈ છે, જે રાજ્ય સરકારની એક મોટી સફળતા છે.
Published by:rakesh parmar
First published:

Tags: 108 ambulance, 108 Emergency, 108 સેવા, Ahmedabad news, Gujarati news