
- News18 Gujarati
- Last Updated: April 23, 2021, 21:15 pm
- દીપિકા ખુમાણ
અમદાવાદ : ભારતની અગ્રણી પાક-સંરક્ષણ કંપની યુપીએલ લિમિટેડે કોવિડ સારવાર માટે ઓક્સિજનનું ઉત્પાદન કરવા એના તમામ સંસાધનો કામે લગાડ્યાં છે. યુપીએલએ આ નિર્ણય કોવિડના કેસોમાં વધારો થવાથી રાષ્ટ્રીય સ્તરે ઊભી ઓક્સિજનની ખેંચ પૂરી કરવા લીધો હતો. કંપનીએ ગુજરાતમાં તેના ચાર નાઇટ્રોજન ઉત્પાદન પ્લાન્ટને કન્વર્ટ કરીને ઓક્સિજનનું ઉત્પાદન કરવા તથા ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચાર હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવાની યોજના બનાવી છે. પછી આ પ્લાન્ટ સ્કિડ માઉન્ટેડ હશે અને હોસ્પિટલ સાઇટને સીધો ઓક્સિજન પ્રદાન કરશે, જેથી હોસ્પિટલની ઇકોસિસ્ટમમાં પ્લગ કરીને તેમને પુરવઠામાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ મળશે.
યુપીએલનું આ ઇનોવેશન આઇસીયુમાં સારવાર મેળવતા દર્દીઓ સહિત આ દરેક હોસ્પિટલમાં 200થી 250 બેડને ઓક્સિજનને પૂરો પાડવામાં મદદરૂપ થશે. આ અંગે યુપીએલ લિમિટેડના સીઇઓ જય શ્રોફે કહ્યું હતું કે, યુપીએલમાં અમે હંમેશા માનવીય હોવાના મૂલ્યને ખરાં અર્થમાં ચરિતાર્થ કરીએ છીએ. હાલના કટોકટીના સમયમાં અમારી શ્રેષ્ઠ ક્ષમતાઓ સાથે મદદ કરવા કટિબદ્ધ છીએ. અમે ભારતમાં ઓક્સિજન માટેની વધતી માગને પૂર્ણ કરવામાં પ્રદાન કરીશું, જે કોવિડની આ બીજી લહેરમાં મુખ્ય જરૂરિયાત છે.
આ પણ વાંચો - GMDC કોવિડ હોસ્પિટલની મુલાકાત પછી અમિત શાહની જાહેરાત, 1200 બેડની હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ ખાતે શરૂ થશે
યુપીએલ એના સંસાધનોને ડાઇવર્ટ કરશે. આ તમામ પ્રયાસોનો ઉદ્દેશ નાઇટ્રોજનના પ્લાન્ટને કન્વર્ટ કરીને હોસ્પિટલોનું ભારણ હળવું કરવામાં અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થવાનો છે. એનાથી ઓક્સિજનના પુરવઠાનું પરિવહન કરવા, ટેન્કર્સ દોડાવવા વગેરે જેવી મોટી સમસ્યાઓનું સમાધાન કરવામાં પણ મદદ મળશે. અમે મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં આ કન્વર્ટ કરેલા પ્લાન્ટમાંથી હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડીશું એવી આશા છે.
તેમણે કહ્યું હતું કે અમારું માનવું છે કે, મનુષ્યનું જીવન બચાવવું સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને અમે આ કટોકટી દરમિયાન મદદરૂપ થવા અમારાથી થઈ શકે એવી તમામ કામગીરી કરવા સ્થાનિક વહીવટીતંત્ર સાથે કામ કરી રહ્યાં છીએ.