
- News18 Gujarati
- Last Updated: September 04, 2021, 21:21 pm
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ ગીતકાર, કવિ અને લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) વિવાદમાં ફસાયેલા જોવા મળે છે. તાજેતરમાં એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના તાલિબાન (Taliban) સાથે કરી હતી. ઇન્ટરવ્યૂમાં અખ્તરે કહ્યું હતું કે, RSS, VHP અને બજરંગ દળ અને તાલિબાન જેવા સંગઠનોની વિચાધારામાં કોઈ તફાવત નથી. બીજેપીએ (BJP) તેમના નિવેદનનો સખત વિરોધ કર્યો છે. શનિવારે, ભાજપના કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ સાથે મુંબઈના જુહુમાં જાવેદ અખ્તરના ઘરે પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધને જોતા પોલીસે તેના ઘરની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર, ભાજપના કાર્યકરો અખ્તર પાસેથી બિનશરતી માફીની માંગ કરી રહ્યા છે. ગીતકાર અખ્તરે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં એક દક્ષિણપંથી છે. દેશમાં લઘુમતીઓને મારતા ટોળા પર તેમણે કહ્યું હતું કે, 'તાલિબાન બનવા માટે આ સંપૂર્ણ ડ્રેસ રિહર્સલ છે. આ લોકો એ જ વસ્તુઓ કરી રહ્યા છે. આ એ જ લોકો છે, બંને વચ્ચે માત્ર નામનો જ તફાવત છે. ભારતીય બંધારણ તેમની રીતે ઉંભું છે, પરંતુ જો તક આપવામાં આવે તો તેઓ બંધારણીય સીમાને પણ પાર કરી દેશે.
જાવેદ અખ્તરે આરએસએસ, વીએચપી અને બજરંગ દળ જેવી સંસ્થાઓને ટેકો આપનારાઓને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'તાલિબાનો જંગલી છે, પરંતુ તમે જેમને ટેકો આપી રહ્યા છો અને તાલિબાનમાં શું તફાવત છે? તેમની જમીન મજબૂત બની રહી છે અને તેઓ તેમના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. બંનેની માનસિકતા સમાન છે.
આ પણ વાંચો: 'સિદ્ધાર્થ મેરા બચ્ચા..' બોલી ધ્રુસકે ધ્રુસકે રડી શહનાઝ ગિલ, સંભાવના સેઠે જણાવ્યો હાલ
વિશ્વની તમામ દક્ષિણપંથીઓને સમાન ગણાવતા અખ્તરે કહ્યું હતું કે, 'ભલે તે ખ્રિસ્તી જમણેરી હોય, મુસ્લિમ જમણી પાંખ હોય કે હિન્દુ જમણી પાંખ, બધામાં સમાનતા છે. તાલિબાન ઈસ્લામિક રાજ્ય બનાવવા માંગે છે. તેઓ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે. તેઓ કહે છે કે, જેમની પરંપરા અલગ છે, તેઓ તેમને સ્વીકારશે નહીં. આ લોકો ઇચ્છે છે કે છોકરો અને છોકરી એક સાથે પાર્કમાં ન જાય. બંને વચ્ચે તફાવત એ છે કે તેઓ હજુ તાલિબાન જેટલા શક્તિશાળી નથી, પણ તાલિબાન ગમે તે હોય, તેમનો હેતુ એક જ છે.